Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર: નવ નિર્મિત પુલ પર માત્ર એક સપ્તાહમાં તિરાડો પડતાં સ્થાનિક રહીશો રોષ

પાલિકા દ્વારા અંદાજે ૫ કરોડના ખર્ચે નવનિર્મિત પુલના લોકાર્પણ કર્યાં બાદ માત્ર ૫ દિવસમાં જ તિરાડો પડી જતા ઘોર બેદરકારી સામે આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

X

સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા દ્વારા અંદાજે ૫ કરોડના ખર્ચે નવનિર્મિત પુલના લોકાર્પણ કર્યાં બાદ માત્ર ૫ દિવસમાં જ તિરાડો પડી જતા ઘોર બેદરકારી સામે આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ નગરપાલિકા દ્વારા લોકો તેમજ વાહનચાલકોને પડતી હાલાકી તેમજ ચોમાસા દરમિયાન કૉઝવે પર પાણી ભરાઈ રહેતા પડતી હાલાકીને ધ્યાને લઈ જીલ્લા પંચાયત પાસે ભોગાવો નદી પરના કોઝવેને લઈને અંદાજે ૦૫ કરોડના ખર્ચે બનનાર પુલની કામગીરી છેલ્લા ૦૪ વર્ષથી ચાલી રહી હતી. જે કામગીરી તાજેતરમાં પૂર્ણ થતા ગત તારીખ ૧૦ ફેબ્રુઆરીના રોજ નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, પાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરી પ્રજાજનો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પરંતુ પુલના લોકાર્પણના પાંચ થી છ દિવસમાં જ પુલમાં તિરાડો પડી જતા કોન્ટ્રાકટરની નબળી અને હલકી ગુણવત્તાની કામગીરી સામે આવી છે. પાલિકાના સત્તાધીશો અને કોન્ટ્રાકટરની મીલીભગતથી કોઈપણ જાતની ચકાસણી કે રિપોર્ટ વગર જ પુલને ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હોવાનુ સામે આવ્યું છે. આ નવનિર્મિત પુલ પર થી દરરોજ મુળી અને રાજકોટ તરફ અવરજવર કરતી એસટી બસો, ટ્રક, ડમ્પર, રિક્ષા સહિતના ભારે વાહનો પસાર થાય છે તેમજ ખેરાળી રોડ પર બહુમાળી ભવનમાં આવેલ સરકારી કચેરીઓમાં કામ અર્થે અનેક અરજદારો અને અધિકારીઓ પણ આ પુલનો ઉપયોગ કરે છે ત્યારે લોકાર્પણના પાંચ દિવસમાં જ પુલમાં તિરાડો પડી જતા આગામી દિવસોમાં પુલ ધરાશાયી થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

Next Story