સુરેન્દ્રનગર: આખલાની અડફેટે 7 વર્ષના માસુમ બાળકનું કરૂણ મોત, અંતિમ યાત્રામાં સમગ્ર ગામ હીબકે ચઢ્યુ
લીંબડીના નાના ટિંબલા ગામે 7 વર્ષના બાળકનું આખલાની અડફેટે કરૂણ મોત નિપજતા ગ્રામજનોમાં તંત્રની બેદરકારી સામે આક્રોશ જોવા મળી રહયો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના નાના ટિંબલા ગામે 7 વર્ષના બાળકનું આખલાની અડફેટે કરૂણ મોત નિપજતા ગ્રામજનોમાં તંત્રની બેદરકારી સામે આક્રોશ જોવા મળી રહયો છે.
સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના નાના ટીંબલા ગામે રહેતા ભાવેશભાઈ મેટાળીયાનો 7 વર્ષનો પુત્ર વિરાજ ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હતો. શાળામાં રિસેશ પડતા વિરાજ ઘરે ગયો હતો. રિસેશ પૂર્ણ થવાના સમયે વિરાજ શાળા તરફ જવા નીકળ્યો હતો. શાળા નજીકના રસ્તામાં આખલાઓ ઝઘડી રહ્યા હતા.યુધ્ધે ચડેલા આખલાઓએ વિરાજને અડફેટે લીધો હતો. વિરાજના માથા અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગામના લોકોએ ઘાયલ વિરાજને સારવાર અર્થે લીંબડી સરકારી હૉસ્પિટલે ખસેડ્યો હતો. જ્યાં હાજર ડૉક્ટરે વિરાજને મૃત જાહેર કર્યો હતો. 7 વર્ષના પુત્રના મૃત્યુના સમાચાર સાંભળી વિરાજના માતા-પિતા અને પરિવારજનો ઉપર દુ:ખનું આભ તૂટી પડ્યું હતું.વિરાજના અંતિમ સંસ્કારમાં નાના ટીંબલા ગામના ગ્રામજનો હિબકે ચઢ્યા હતા. નાના ટીંબલા ગામના તલાટીએ પશુ અકસ્માતે માનવ મૃત્યુ થયાની લેખિત જાણ તાલુકા-જિલ્લા વિકાસ અધિકારી, લીંબડી-સુરેન્દ્રનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ ખાતાનાં મામલતદારને કરી રિપોર્ટ સોંપ્યો હતો.સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.