Connect Gujarat
ગુજરાત

રાજયમાં ડમી સ્કૂલના કન્સેપ્ટે શિક્ષણની ઘોર ખોદી ! ધો.12 સાયન્સના પરિણામ પર જોવા મળી મોટી અસર

ગુજરાતમાં ડમી સ્કૂલના કન્સેપ્ટના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. ડમી સ્કૂલની અસર તાજેતરમાં જ જાહેર થયેલ ધોરણ 12 સાયન્સના પરિણામ પર જોવા મળી હતી

X

ગુજરાતમાં ડમી સ્કૂલના કન્સેપ્ટના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. ડમી સ્કૂલની અસર તાજેતરમાં જ જાહેર થયેલ ધોરણ 12 સાયન્સના પરિણામ પર જોવા મળી હતી ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા આ બાબતે કાર્યવાહી કરવામાં આવે એ અત્યંત જરૂરી છે.

ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ -2023માં લેવાયેલા ધોરણ -12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના પરિણામની મંગળવારના રોજ જાહેરાત કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના પરિણામમાં ગત વર્ષની સરખામણીએ 8.78 ટકાનો ઘટાડો થયો હતો. જોકે, છેલ્લા 10 વર્ષના આંકડા જોઇએ વર્ષ 2014માં ભરૂચ જિલ્લામાં ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 91.62 ટકા પરીણામ આવ્યું હતું જે તબક્કાવાર ઘટીને હવે માત્ર 59.34 ટકા પહોંચી ગયું છે. ભરૂચ અને નર્મદા જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં વર્ષાનુવર્ષ ઘટડો થઇ રહ્યો છે. રાજ્યમાં કુલ 36 જિલ્લામાં પરીક્ષા લેવાઇ હતી. જે પૈકી ભરૂચ જિલ્લાનો 59.34 ટકા સાથે રાજ્યમાં 22મો ક્રમાંક આવ્યો છે.આ પાછળ ડમી સ્કૂલનું કૌભાંડ જવાબદાર હોવાનું શિક્ષણ વિદો જણાવી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ડમી સ્કૂલની લાલચ આપી સ્કૂલ સંચાલકો વાલીઓ અને વિદ્યાર્થીઓને ઊજળા ભવિષ્યની ગેરંટી આપી રહ્યા છે. ગુજરાતમાં ડમી સ્કૂલોનો રાફડો ફાટ્યો તેની સીધી અસર ધો.12 સાયન્સના રિઝલ્ટમાં જોવા મળી છે. ખાસ કરીને ડમી સ્કૂલ સાથે સંકળાયેલા ક્લાસીસ ગ્રામ્ય અને શહેરી વિદ્યાર્થીઓને ડોક્ટર અને એન્જિનિયર બનાવવાનાં સપનાં દેખાડે છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભરુચ, અનાકલેશ્વર સહિતના શહેરોમાં ડમી સ્કૂલની નવી પ્રલાણી ઘર કરી ગઈ છે તેની પોલ આ પરિણામે ખોલી છે. ગુજરાતમાં 12 સાયન્સના પરિણામ બાદ સારી કોલેજમાં એડમિશન માટે લેવાઈ રહેલી એક્ઝામ માટે અનેક પ્રાઇવેટ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતમાં ચાલી રહ્યાં છે. આ ઇન્સ્ટિટ્યૂટમાં વાલીઓને ડમી સ્કૂલમાં ભણવા માટે આગ્રહ કરી સમજાવવામાં આવી રહ્યા છે અને બધું જ ભણતર તેમને આ ઇન્સ્ટિટ્યૂટમાંથી આપવામાં આવશે તેવી પટ્ટી ભણાવી સમજાવવામાં આવે છે.કેટલાક શાળા સંચાલકો વધુ પૈસા કમાવવાણી લહાયમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે તો વાલીઓ પણ અણસમજમાં તેમના પુત્ર-પુત્રીનું ભવિષ્ય બગાડી રહ્યા છે. આ બાબતે શિક્ષણ વિભાગ દ્વારા કડક પગલા ભરવામાં આવે એ અત્યંત જરૂરી છે.

Next Story