બાળકો રમતા ઘટના બની : દાહોદના મેલણીયામાં નિર્માણાધીન આંગણવાડીના કામની ગુણવત્તા અંગે ચકાસણી અનિવાર્ય બની..!
મળતી માહિતી અનુસાર, દાહોદ ઝાલોદ તાલુકાના મેલાણીયા ગામે નિર્માણાધીન આંગણવાડીનું કાર્ય ચાલી રહ્યું છે
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મેલણીયા ગામમાં નિર્માણાધીન આંગણવાડીની એક તરફની દિવાલ ઘસી પડતાં નજીક રમી રહેલા બાળકો પૈકી 4 વર્ષીય બાળક કાટમાળ નીચે દબાઈ જતાં ગંભીર ઇજા પહોંચી હતી, ત્યારે હવે આંગણવાડીના કામની ગુણવત્તા અંગે પણ ચકાસણી અનિવાર્ય બની છે.
મળતી માહિતી અનુસાર, દાહોદ ઝાલોદ તાલુકાના મેલાણીયા ગામે નિર્માણાધીન આંગણવાડીનું કાર્ય ચાલી રહ્યું છે. જેમા ગામના વિસ્તારના નાના નાના બાળકો આંગણવાડી પાસે રમી રહ્યા હતા. તે સમયે 4 વર્ષીય પ્રિન્સ ગોવિંદ વસૈયા નામના બાળક પર નિર્માણાધીન આંગણવાડીની દિવાલ પડી જતા પ્રિન્સ વસૈયાને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર અર્થે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીએ છે કે, નિર્માણાધીન આંગણવાડીની દિવાલ ઓચિંતી પડી જતા એજન્સી દ્વારા કેવા પ્રકારનું કામ કરવામાં આવ્યું હશે, તે નરી આંખે દેખાઈ આવે છે. આંગણવાડી કેન્દ્રો બનાવવા માટે હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરતા એજન્સી ધારકો પોતાનો આર્થિક લાભ મેળવવા માટે કેટલા બાળકોનો જીવ જોખમમાં રાખી રહ્યા છે. હાલના સંજોગોમાં નિર્માણાધીણ આંગણવાડીની ગુણવત્તા તેમજ સ્ટ્રકચર ફિટનેસ અંગે સર્ટી આપ્યા બાદ જ આંગણવાડી કેન્દ્ર ચાલુ કરવામાં આવે, તો બાળકોના માથે જોખમ ઓછું રહે તેવું લોકોનું માનવું છે.