ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 'સખી સંવાદ' અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રાજ્યના ગ્રામીણ ક્ષેત્રોના સ્વ-સહાય જૂથ તેમજ સેલ્ફ હેલ્પ ગ્રુપની નારીશક્તિઓ ઉપસ્થિત રહી હતી.
ગ્રામીણ બહેનોના સામાજિક ઉત્થાનથી તેમનું જીવન ધોરણ ઊંચું લાવીને તેમને આર્થિક રીતે પગભર કરવા ગ્રામ્ય વિસ્તારોમાં સ્વ-સહાય જૂથ તેમજ સેલ્ફ હેલ્પ ગ્રુપની રચના કરવામાં આવતી હોય છે. સ્વ-સહાય જૂથોની બહેનોને આજીવિકાલક્ષી પ્રવૃત્તિઓ સાથે જોડીને તેમને આર્થિક રીતે પગભર બનાવવા રાજ્ય સરકારે અનેક આયામો હાથ ધર્યા છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 'સખી સંવાદ'નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં રાજ્યભરના 28 હજારથી વધુ સ્વ-સહાય જૂથની સભ્ય એવી ગ્રામીણ નારીશક્તિને 350 કરોડ રૂપિયાના વિવિધ લાભોનું વિતરણ કરવા સાથે મુખ્યમંત્રીએ ગ્રામીણ નારીશક્તિ સાથે સંવાદ પણ કર્યો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યની સફળ ગ્રામીણ મહિલાશક્તિ સાથે સંવાદ કરી તેમની સમસ્યાઓ પણ જાણી તથા તેને દૂર કરવા માટેનું માર્ગદર્શન આપ્યું હતું. 'સખી સંવાદ'ના આ અભિનવ પ્રયોગમાં સહભાગી 33 જિલ્લાઓની બહેનો દ્વારા ઉત્પાદિત ચીજ-વસ્તુઓના સ્ટોલ્સ પણ 'સખી સંવાદ' કાર્યક્રમ સ્થળે રાખવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ, રાજ્યમંત્રી કુંવરજી હળપતિ, મુખ્ય સચિવ રાજકુમાર તેમજ ગાંધીનગરના મેયર, ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.