-
વાપી શહેરના છીરી વિસ્તારમાં બની ચકચારી ઘટના
-
શ્રમજીવી પરિવારના બાળકનો મૃતદેહ મળી આવ્યો
-
હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર
-
બાળકના મૃતદેહ પર જોવા મળ્યા તીક્ષ્ણ હથિયારના ઘા
-
વલસાડ પોલીસે અપહરણ, હત્યાનો ગુનો દાખલ કર્યો
વલસાડ જિલ્લાના વાપી શહેરના છીરી વિસ્તારમાં શ્રમજીવી પરિવારના 7 વર્ષીય બાળકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે અપહરણ અને હત્યાનો ગુનો દાખલ કરી આરોપી સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી અનુસાર, વલસાડ જિલ્લાના વાપી શહેરના છીરી વિસ્તારમાં આવેલા રણછોડ નગરમાં રહેતા શ્રમજીવી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. આ પરિવારનો 7 વર્ષીય ઓમ જીતકુમાર તંતી નામનો બાળક ગઈ કાલ રાતથી ગુમ હતો. જેની પરિવારજનોએ ભારે શોધખોળ કરી હતી. પરંતુ આખી રાતની શોધખોળ કર્યા બાદ પણ બાળક નહીં મળતા આખરે સવારે આ અંગે પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતા જ પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ બાળકની શોધખોળ હાથ ધરી હતી. જોકે, આખરે આ બાળકનો મૃતદેહ ઘરથી થોડી દૂર ઝાડી ઝાખરામાંથી મળી આવ્યો હતો. આથી પોલીસે મૃતદેહ નો કબજો લઈ આ અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક બાળકના શરીર પર તીક્ષ્ણ હથિયારથી ઈજાના નિશાન જોવા મળ્યા હતા. આથી બાળકની હત્યા નીપજાવવામાં આવી હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.
જોકે, મૃતક બાળકનો પરિવાર ઘર નજીક વડાપાઉની લારી ચલાવે છે. આ બાળક માતા-પિતા સાથે રાત્રે લારી પર ગયો હતો. ત્યારબાદ તે ગુમ થઈ જતાં લાંબા સમય સુધી નહીં મળતા આખરે પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. પોલીસમાં જાણ કરતા આખરે પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી આ મામલે તપાસ હાથ ધરી છે. શ્રમજીવી પરિવારમાં માસુમ બાળકની હત્યાને કારણે સમગ્ર વિસ્તારમાં સનસની મચી ગઈ છે. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જતી વખતે પરિવારજનોના કરુણ આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. વલસાડ જિલ્લા પોલીસવડા ડો. કરણરાજ વાઘેલા સહિત જિલ્લા પોલીસના ઉચ અધિકારીનો કાફલો સ્થળ પર પહોંચી માસુમની હત્યા કોણે અને કેમ કરી છે, તે દિશામાં તપાસ હાથ ધરી છે.