આધુનિકીકરણની દોટમાં પ્રાચીન સંસ્કૃતિઓ ભૂંસાઈ રહી છે. ખાસ કરીને, આહાર અને વસ્ત્રોમાં પવનવેગે પરિવર્તનો આવી રહ્યા છે. આ સ્થિતિમાં ગુજરાતના તાપી જિલ્લાના વ્યારામાં વન વિભાગ આદિવાસીઓની વાનગી વિરાસતને જાળવવા માટે સુંદર પ્રયાસો કરી રહ્યો છે. જોઈએ આ વિશેષ અહેવાલમાં...
તાપી જિલ્લામાં વન વિભાગે વર્ષ 2019માં વનશ્રી રેસ્ટોરન્ટ શરૂ કર્યું હતું. આ રેસ્ટોરન્ટનો ઉદ્દેશ છે અહીં આવતા પર્યટકો પરંપરાગત આદિવાસી વાનગીઓ જાણી અને માણી શકે છે. વનશ્રી રેસ્ટોરન્ટમાં અતિથીઓને નાંગલી અને ચોખા જેવી સામગ્રીઓમાંથી બનેલા 6 પ્રકારના રોટલા પીરસવામાં આવે છે. અહીં સ્વાદરસિકો ટોઠા, ભાજી, સરગવાના સિંગનો સૂપ અને ડાંગી થાળીનો લુત્ફ પણ ઉઠાવી શકે છે. અતિથિઓ આદિવાસીઓના પરંપરાગત ભોજન પસંદ કરે તે માટે રેસ્ટોરન્ટ કેટલીક વાનગીઓમાં પ્રયોગો પણ કરે છે. તો બીજી તરફ, અહીં આવતા અતિથિઓ પણ અહીંના ખોરાકની ગુણવત્તાની પ્રસંશા કરે છે.
જોકે, અહી સખી મંડળની બહેનો જાતે જ રેસ્ટોરન્ટને ચલાવે છે, જેથી સ્થાનિક આદિવાસી મહિલાઓને ઘરઆંગણે રોજગાર પ્રાપ્ત થાય છે. અહીંયા વેચાણ સહિતની બધી જ પ્રોસેસ પણ બહેનો જ કરે છે. આ રેસ્ટોરન્ટમાંથી બહેનોને માસિક રૂપિયા 14થી 15 હજારની કમાણી થાય છે. આ રેસ્ટોરન્ટનું સંચાલન સખી મંડળની 10 બહેનો કરે છે. રેસ્ટોરન્ટ ઝડપથી ગ્રાહકોમાં લોકપ્રિય બની રહી છે. રેસ્ટોરન્ટ પર્યટકોને સ્વાદિષ્ટ આદિવાસી વાનગીઓ પીરસવાની સાથે આદિવાસીઓના ખોરાકના સમૃદ્ધ વારસાને જાળવવામાં પણ મદદરૂપ બને છે. આ પહેલ સમુદાય-સંચાલિત પ્રવૃતિ દ્વારા આર્થિક સશક્તિકરણ અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાની સાથે-સાથે સંસ્કૃતિનું રક્ષણનું ઉત્તમ ઉદાહરણ છે.