ગુજરાત એસઆઇટીએ સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ વિરુદ્ધ સોગંદનામું રજૂ કરતાં સનસનીખેજ ખુલાસો થયો છે. કોર્ટમાં 12 પાનાના એફિડેવિટમાં સરકાર પાડવા માટે મોટું ષડયંત્ર રચ્યું હોવાનું બહાર આવ્યું છે. આ સોંગધનામામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વર્ગીય અહેમદ પટેલનો પણ ઉલ્લેખ થતા ખળભળાટ મચી ગયો છે.

તિસ્તા સેતલવાડે ગોધરા ટ્રેનની ઘટનાના થોડા દિવસો બાદ સ્વર્ગસ્થ અહેમદ પટેલ સાથે મીટિંગ કરી હતી. જેમાં પ્રથમ વખત 5 લાખ રૂપિયા લીધા હતા, જ્યારે તિસ્તા સેતલવાડની ફરી મુલાકાત શાહીબાગ સ્થિત સરકારી સર્કિટ હાઉસમાં થઈ હતી, જ્યાં પણ તિસ્તા સેતલવાડે વધુ 25 લાખ રૂપિયા લીધા હતા, ત્યારે રાજ્યસભાના પૂર્વ સાંસદ સ્વ. અહેમદ પટેલ પર તીસ્તા સેતલવાડને 30 લાખ રૂપિયા આપવાના આરોપ સામે તેમની પુત્રી મુમતાઝ પટેલે મૌન તોડ્યું છે. સમગ્ર મામલે સ્વ. અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે જણાવ્યુ હતું કે, મારા સ્વર્ગસ્થ પિતાના દેહાંત બાદ પણ તેમનું નામ વિવાદમાં ઘસેડવામાં આવી રહ્યું છે. તેના પરથી અંદાજો આવી શકે છે કે તેમના નામમાં કેટલું વજુદ છે. મારા પિતા સામે આક્ષેપો કરી ભાજપ ખરેખર કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને કોંગ્રેસ પાર્ટીને નિશાન બનાવવા માંગે છે. દર વખતે ગુજરાતમાં ચૂંટણી આવે એટલે મારા સ્વર્ગસ્થ પિતા અહેમદ પટેલનું નામ ઉછાળવામાં આવે છે. હવે ગુજરાતમાં ફરી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે સ્વર્ગસ્થ અહેમદ પટેલના નામે ભાજપ વાસ્તવમાં કોંગ્રેસ પાર્ટી અને તેના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધીને ટાર્ગેટ કરવા માંગતી હોય તેમ લાગી રહ્યું હોવાનું સ્વ. અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે જણાવ્યુ હતું.