/connect-gujarat/media/media_files/2025/07/14/accident-2025-07-14-16-00-08.jpg)
આંધ્રપ્રદેશના અન્નમય્યા જિલ્લામાં રવિવારે રાત્રે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. કેરીઓ ભરેલી એક ટ્રક અચાનક પલટી ખાઈ જતાં નવ મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા હતાં, જ્યારે અન્ય 10 ઘાયલ થયા હતા. મૃતકોમાં પાંચ મહિલા સામેલ છે. ઈજાગ્રસ્તોને રાજમપેટની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ અકસ્માત પુલ્લમપેટા મંડલના રેડ્ડી ચેરૂવુ કટ્ટામાં થયો હતો. જે કડપા શહેરથી લગભગ 60 કિમીના અંતરે આવેલો છે. પોલીસે જણાવ્યા પ્રમાણે, ટ્રક પલટી ખાઈ જતાં કેરીના ઢગલાં પર બેઠેલા મજૂરો નીચે પડ્યા હતાં. ટ્રક ચાલકનો આ અકસ્માતમાં આબાદ બચાવ થયો હતો. ડ્રાઈવરે જણાવ્યું હતું કે, સામેથી આવી રહેલી કારને બચાવવા જતાં ટ્રક પરથી કાબૂ ગુમાવ્યો હતો.
રેલવે કોડુરૂ અને તિરૂપતિ જિલ્લાના વેંકટગીરી મંડલના 21 દિહાડી મજૂરો એસુકાપલ્લી અને આસપાસના ગામમાંથી કેરી તોડીને આવી રહ્યા છે. તેઓ ટ્રકની ઉપર બેઠા હતા. અકસ્માતમાં મજૂરો 30-40 ટન કેરીની નીચે દબાઈ ગયા હતાં. પોલીસે જેસીબીની મદદથી બચાવ કામગીરી શરૂ કરી હતી.
ટ્રક અને કેરીના ઢગલાં નીચે દબાઈ જવાથી આઠ મજૂરોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતાં. જેમની ઓળખ ગજ્જાલા દુર્ગૈયા, ગજ્જાલા લક્ષ્મી દેવી, ગજ્જાલા રમના, ગજ્જાલા શ્રીનુ, રાધા, વેંકટ સુબ્બમ્મા, ચિતેમ્મા, અને સુબ્બા રત્નમ્મા તરીકે થઈ છે. જ્યારે અન્ય એક મજૂર મુનિચંદ્રનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અન્ય 10 ઈજાગ્રસ્તોને કડપાના રિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પરિવહન મંત્રી મંડિપલ્લી રામપ્રસાદ રેડ્ડી અને જિલ્લા પ્રભારી મંત્રી બીસી જનાર્દન રેડ્ડીએ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે પીડિત પરિવારોને સંભવિત તમામ મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું. પૂર્વ મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ પણ શોક વ્યક્ત કરતાં ઘાયલો માટે શ્રેષ્ઠ સારવાર અને મૃતકોના પરિવાર માટે સહાયતાની માગ કરી હતી.
Andhra Pradesh News | Truck Accident | road accident