રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢમાં કોંગ્રેસની હાર બાદ PM મોદી બોલ્યા ચૂંટણીમાં આદિવાસી સમાજે કૉંગ્રેસનો સફાયો કરી દીધો
આજે ચાર રાજ્યોમાં આવેલા ચૂંટણી પરિણામોએ તમામ લોકોને ચોંકાવ્યા છે. ચાર રાજ્યોમાંથી ત્રણ રાજ્યોમાં ભાજપને બહુમતી સાથે સરકાર બનાવતી જોવામાં આવી રહી છે, અને એકમાત્ર તેલંગાણામાં કોંગ્રેસ સરકાર બનાવી રહી છે. આ ભવ્ય અને ધમાકેદાર જીત બાદ હવે પીએમ મોદી બીજેપી હેડક્વાર્ટરમાં પહોંચ્યા છે, જ્યાં પહેલાથી જ બીજેપી કાર્યકર્તાઓ પહેલાથી જ જશ્નના માહોલમાં ડુબેલા છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં આજના દિવસને ઐતિહાસિક ગણાવ્યો છે, સાથે સાથે આજની જીતને અદભૂત અને અવિશ્વનીય બતાવી છે.
આજનો દિવસ ઐતિહાસિક છે. આજે ભારતના સંકલ્પની જીત થઈ છે, આજે ભારતના વિકાસની જીત થઈ છે. આજે પ્રામાણિકતા, પારદર્શિતા,સુશાસનની જીત છે. તેલંગાણામાં ભાજપનું સમર્થન સતત વધી રહ્યું છે, મારા માટે દેશમાં ચાર જાતિ જ સૌથી મોટી જાતિ છે. નારીશક્તિ, યુવાશક્તિ દેશની સૌથી મોટી જાતિ છે. ખેડૂતો અને ગરીબ પરિવાર દેશની સૌથી મોટી જાતિ છે. આ ચાર જાતિને સશક્ત કરવાથી જ દેશ સશક્ત થશે. આ ચૂંટણીમાં આ ચારેય જાતિએ ખુબ જ ઉત્સાહ દેખાડ્યો છે.
પીએ મોદીએ કહ્યું કે, આ જ જીતમાં દરેક મહિલા પોતાની જીત જોઈ રહી છે. આ જ જીતમાં દરેક યુવાન પોતાની જીત જોઈ રહ્યો છે. દરેક નાગરિક આ જીતને પોતાની સફળતા સમજી રહ્યો છે, દેશની નારીશક્તિને વિશેષરૂપે અભિનંદન છે. નારીશક્તિ વંદન અધિનિયમે મહિલાઓમાં નવો વિશ્વાસ જગાડ્યો છે. નારીશક્તિનો વિકાસ મોડલનો મહત્વપૂર્ણ સ્તંભ છે. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે, આપને જે વાયદા કર્યા તે 100 ટકા પૂર્ણ કરાશે, વાયદા પૂર્ણ કરવાની મોદીની ગેરન્ટી છે. દેશનો યુવાન ફક્ત અને ફક્ત વિકાસ ઈચ્છે છે, જ્યાં પણ સરકારે યુવાઓ વિરૂદ્ધ કામ કર્યુ, તેની સત્તા ગઈ, ભાજપ જ યુવાનોની આકાંક્ષો સમજે છે. ભાજપની સરકાર યુવાહિતેચ્છી હોય છે. દેશનો આદિવાસી સમાજ પણ ખુલીને પોતાની વાત રાખી રહ્યો છે. કૉંગ્રેસની સરકારમાં આદિવાસી સમાજને અવસર ન મળ્યો.
પીએમે કહ્યું કે, આ ચૂંટણીમાં આદિવાસી સમાજે કૉંગ્રેસનો સફાયો કરી દીધો છે. MP,છત્તીસગઢ, રાજસ્થાનમાં કૉંગ્રેસના સૂપડાસાફ થયા છે. આદિવાસી સમાજ આજે વિકાસ માટે આકાંક્ષી છે. દરેક રાજ્યના ભાજપના કાર્યકર્તાઓને અભિનંદન છે. ભાજપ અને કમળ પ્રત્યે આપની નિષ્ઠા, સમર્પણ અતુલનીય છે. ડબલ એન્જીનનો સંદેશ આપે જનજન સુધી પહોંચાડ્યો છે.