/connect-gujarat/media/media_files/2025/04/27/8yZcGES7ffux8QDKbsmj.png)
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. પોતાના કાર્યક્રમની શરૂઆતમાં જ પીએમ મોદીએ પહેલગામ હુમલાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, પહેલગામમાં થયેલા આ હુમલાથી હૃદયમાં ઊંડો દુખાવો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આપણા દેશના લોકોમાં જે ગુસ્સો છે, તે આખી દુનિયામાં પણ છે. આ જઘન્ય આતંકવાદી હુમલાની સૌ કોઈએ સખત નિંદા કરી. આતંકવાદ સામેની લડાઈમાં આખી દુનિયા 140 કરોડ ભારતીયોની સાથે ઉભી છે. પીએમ મોદીએ કહ્યું કે, હુમલાના પીડિતોને ન્યાય ચોક્કસ મળશે. પીએમએ કહ્યું, 'પહલગામમાં થયેલો આ હુમલો આતંકવાદને પ્રાયોજિત કરનારાઓની હતાશા દર્શાવે છે, તેમની કાયરતા દર્શાવે છે.' જે સમયે કાશ્મીરમાં શાંતિ પાછી ફરી રહી હતી, શાળાઓ અને કોલેજોમાં ઉત્સાહ હતો, બાંધકામ કાર્ય અભૂતપૂર્વ ગતિએ આગળ વધ્યું હતું, લોકશાહી મજબૂત થઈ રહી હતી અને પ્રવાસીઓની સંખ્યા રેકોર્ડ ગતિએ વધી રહી હતી, જે દેશના દુશ્મનો, જમ્મુ અને કાશ્મીરના દુશ્મનોને આ ગમ્યું નહીં. તેમણે કહ્યું કે, આતંકવાદીઓ અને તેમના આકાઓ ઇચ્છે છે કે, કાશ્મીર ફરીથી બરબાદ થાય અને તેથી જ આટલું મોટું કાવતરું ઘડવામાં આવ્યું. આતંકવાદ સામેના આ યુદ્ધમાં દેશની એકતા, 140 કરોડ ભારતીયોની એકતા આપણી સૌથી મોટી તાકાત છે.
આ એકતા આતંકવાદ સામેની આપણી નિર્ણાયક લડાઈનો પાયો છે. પીએમએ કહ્યું કે, દેશ સામેના આ પડકારનો સામનો કરવા માટે આપણે આપણા સંકલ્પને મજબૂત બનાવવો પડશે. આપણે એક રાષ્ટ્ર તરીકે મજબૂત ઇચ્છાશક્તિ દર્શાવવી પડશે. આજે દુનિયા જોઈ રહી છે, આ આતંકવાદી હુમલા પછી સમગ્ર દેશ એક અવાજમાં બોલી રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, હું ફરી એકવાર પીડિત પરિવારોને ખાતરી આપું છું કે, તેમને ચોક્કસ ન્યાય મળશે. આ હુમલાના ગુનેગારો અને કાવતરાખોરોને સૌથી કડક જવાબ આપવામાં આવશે.