કેદારનાથ પદયાત્રી માર્ગ પર રવિવારે સવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. અહીં ભૂસ્ખલનને કારણે અનેક શ્રદ્ધાળુઓ કાટમાળ નીચે દટાયા હોવાના અહેવાલ છે.
ગૌરીકુંડથી કેદારનાથ પદયાત્રી માર્ગ પર રવિવારે સવારે અકસ્માત થયો હતો. ચિરબાસા પાસે ટેકરી પરથી અચાનક જ કાટમાળ અને પથ્થરો પડ્યા હતા. આ દરમિયાન યાત્રા પર જઈ રહેલા યાત્રીઓ કાટમાળ નીચે દટાયા હતા. જે બાદ કાટમાળમાંથી ત્રણ મુસાફરોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જેમાં તમામના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 8 ઘાયલ છે. હજુ સુધી કોઈની ઓળખ થઈ નથી.
જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદન સિંહ રાજવારે જણાવ્યું હતું કે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને રવિવારે સવારે 7.30 વાગ્યાની આસપાસ માહિતી મળી હતી કે કેદારનાથ યાત્રા માર્ગ પર ચિરબાસા નજીક પહાડી પરથી આવતા કાટમાળ અને ભારે પથ્થરોને કારણે શ્રદ્ધાળુઓ દટાયા હોવાની માહિતી મળી હતી.
માહિતી મળતાની સાથે જ NDRF, DDR, YMF વહીવટીતંત્રની ટીમ સહિત યાત્રા રૂટ પર તૈનાત સુરક્ષાકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. રેસ્ક્યુ ટીમ દ્વારા કાટમાળમાંથી ત્રણ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. અન્ય આઠ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.