ગુજરાત રાજ્ય માંથી વિદાય લેતા ચોમાસ પહેલા વરસાદ રોકાવાનું નામ નથી લેતો અને વધુ એક વાવાઝોડું આવી શકે છે.
બંગાળની ખાડીમાં 23 ઓક્ટોબર સુધીમાં ચક્રવાતી તોફાન થવાની સંભાવના છે અને હવામાન વિભાગે કહ્યું છે કે ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં આ ચક્રવતી તોફાન ત્રાટકશે અને આ દરમિયાન ભારે પવન સાથે ભારે વરસાદ પડી શકે છે.
જાણવા મળ્યા મુજબ હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 24 કલાક દરમિયાન આંદામાન સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન સોમવાર સુધીમાં લો પ્રેશર વિસ્તારમાં ફેરવાય તેવી શક્યતા છે. તે પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધીને 22મી ઓક્ટોબરની સવાર સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને 23 ઓક્ટોબર સુધીમાં પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી શક્યતા છે.
આ સિસ્ટમની અસરને કારણે દરિયાની સ્થિતિ ખરાબ રહેશે. આજે ઓડિશા અને પશ્ચિમ બંગાળના વિસ્તારોમાં પવનની ઝડપ 45 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી જશે અને સાંજ સુધીમાં પવનની ઝડપ વધીને 60 કિલોમીટર પ્રતિ કલાક થઈ શકે છે.
24 ઓક્ટોબરની રાતથી 25 ઓક્ટોબરની સવાર સુધી આ પવન ધીમે ધીમે વધીને 100 થી 110 કિમી પ્રતિ કલાક સુધી પહોંચશે અને 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચશે.સાથે જ આ સમયે અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસી શકે છે.
આ દરમિયાન આંદામાન અને નિકોબાર ટાપુઓને ઓરેન્જ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે, જ્યાં આજે 21 ઓક્ટોબરે ભારે વરસાદની સંભાવના છે. તમિલનાડુ, કેરળ, તટીય આંધ્રપ્રદેશ અને કર્ણાટક, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને કોંકણના ભાગો સહિત અન્ય રાજ્યોમાં વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
આટલું જ નહીં હવામાન વિભાગ દ્વારા આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતાને પગલે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.