Connect Gujarat
દેશ

આજે મહાત્મા ગાંધીની 152મી જન્મ જયંતિ, PM મોદીએ રાજઘાટ પર બાપુને આપી શ્રદ્ધાંજલિ

X

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 152મી જયંતીના અવસર પર આજે પ્રધાનમંત્રી મોદીએ રાજઘાટ પર જઈને શ્રદ્ધાંજલિ આપી. આ પહેલા પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું, મહાત્મા ગાંધીનું જીવન દરેક પેઢીને પ્રેરિત કરશે. પીએમ મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને પણ તેમની જયંતી પર નમન કર્યું.

આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ પ્રસંગે વડાપ્રધાન મોદી રાજઘાટ પર પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સાથે આજે તેઓ અનેક યોજનાઓની શરૂઆત પણ કરશે. વડાપ્રધાન મોદી 11 વાગ્યે ગ્રામ પંચાયતો અને જળ સમિતિઓ સાથે સંવાદ પણ કરશે. મહાત્મા ગાંધી જયંતિ પર પીએમ મોદીએ ટ્વીટ કર્યું છે કે, "રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની જન્મ જયંતિ પર વિનમ્ર શ્રદ્ધાંજલિ. પૂજ્ય બાપૂનું જીવન અને આદર્શ દેશની દરેક પેઢીને કર્તવ્ય પથ પર ચાલવા માટે પ્રેરિત કરતા રહેશે."

આજે દેશના પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની પણ જન્મ જયંતિ છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, "પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીજીને તેમની જન્મ જયંતિ પર શત શત નમન. મૂલ્યો અને સિદ્ધાંતો પર આધારિત તેમનું જીવન દેશવાસીઓ માટે હંમેશા પ્રેરણાસ્ત્રોત બની રહેશે."

નવી દિલ્હી ખાતે આવેલા ગાંધીજીની સમાધિને રાજઘાટ કહેવામાં આવે છે. ગાંધી જયંતિ પ્રસંગે નવી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ રાજઘાટ પર પહોંચીને ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ગાંધીજીનો જન્મ બીજી ઓક્ટોબર 1869ના રોજ થયો હતો. દેશને આઝાદી અપાવવા માટે તેમણે અંગ્રેજો સામેની લડતનું નેતૃત્વ કર્યું હતું. અહિંસક વિરોધના તેમના મંત્રને આજે આખી દુનિયા સન્માન સાથે યાદ કરે છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગાંધી જયંતિની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી અને ભારતને મહાત્મા ગાંધીના સપનાનો દેશ બનાવવાનો સંકલ્પ લેવાનું કહ્યું હતું. પોતાના સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યુ છે કે, ગાંધી જયંતિ તમામ ભારતીયો માટે વિશેષ દિવસ છે. આ અવસર આપણા તમામ માટે ગાંધીના સંઘર્ષ અને બલિદાનને યાદ કરવાનો મોકો છે. આ અવસર આપણા દેશની સમૃદ્ધિ અને વિકાસ માટે કામ કરવાની પ્રેરણા આપે છે.

Next Story