ઉત્તરાખંડ : યમુનોત્રી નેશનલ હાઇ વે પર નિર્માણાધીન ટનલમાં ભૂસ્ખલન, 40થી વધુ કામદારો ફસાયા....
ઉત્તરાખંડમાં બ્રહ્મખાલ-યમુનોત્રી નેશનલ હાઈવે પર સિલ્ક્યારાથી દાંડલગાંવ સુધી બનાવવામાં આવી રહેલી નિર્માણાધીન ટનલ તૂટી પડ્યાંના અહેવાલ મળ્યાં છે.
ઉત્તરાખંડમાં બ્રહ્મખાલ-યમુનોત્રી નેશનલ હાઈવે પર સિલ્ક્યારાથી દાંડલગાંવ સુધી બનાવવામાં આવી રહેલી નિર્માણાધીન ટનલ તૂટી પડ્યાંના અહેવાલ મળ્યાં છે. આ ઘટના શનિવારે મોડી રાત્રે બની હતી. નિર્માણાધીન ટનલની અંદર ડઝનેક મજૂરો ફસાયા હોવાની આશંકા છે. દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ ઉત્તરકાશી જિલ્લા હેડક્વાર્ટરથી રાહત અને બચાવ ટુકડીઓને દુર્ઘટના સ્થળે રવાના કરાઈ હતી. રેસ્ક્યુ ઓપરેશન હજુ ચાલુ છે. કહેવામાં આવી રહ્યું છે કે ભૂસ્ખલનને કારણે આ દુર્ઘટના બની છે. નિર્માણાધીન ટનલની અંદર તમામ કામદારો સુરક્ષિત છે અને તેમની પાસે ઓક્સિજન સિલિન્ડર છે. ટનલની અંદર કેટલા કામદારો ફસાયા છે તેની ચોક્કસ સંખ્યા હજુ સુધી જાણી શકાઈ નથી. એક અંદાજ અનુસાર 50 થી 60 કામદારો ફસાયેલા હોઈ શકે છે. ટનલનું નિર્માણ કરી રહેલી કંપની દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. પાંચ એમ્બ્યુલન્સ ટનલની બહાર તૈનાત છે, જેથી જો જરૂર પડે તો બચાવી લેવાયેલા મજૂરોને કોઈપણ વિલંબ કર્યા વિના પ્રાથમિક સારવાર મળી શકે અને તેમને હોસ્પિટલ લઈ જઈ શકાય. SDRF અને અન્ય બચાવ ટુકડીઓ રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે.