/connect-gujarat/media/media_files/2025/09/09/vice-president-election-2025-09-09-12-26-51.jpg)
જગદીપ ધનખરના રાજીનામા બાદ ખાલી પડેલા ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે સંસદ ભવનમાં મતદાન પ્રક્રિયા થઇ રહી છે. ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)એ સીપી રાધાકૃષ્ણન અને કોંગ્રેસની આગેવાની હેઠળના ઈન્ડિયા ગઠબંધને જસ્ટિસ બી સુદર્શન રેડ્ડીને ઉમેદવાર બનાવ્યા છે. આજે રાત સુધીમાં દેશને નવા ઉપરાષ્ટ્રપતિ મળશે.
17મી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે આજે મંગળવારે સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી સંસદ ભવનના વસુધા વિભાગના રૂમ નંબર F-101 માં મતદાન યોજાઈ રહ્યું છે.સાંજે 6 વાગ્યે મતગણતરી શરૂ થશે અને ત્યારબાદ વિજેતા ઉમેદવારની જાહેરાત કરવામાં આવશે.
ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ચૂંટણી પંચે રાજ્યસભાના મહાસચિવ પીસી મોદીને રિટર્નિંગ ઓફિસરની જવાબદારી સોંપી છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે આ મતદાન સિંગલ ટ્રાન્સફરેબલ વોટ હેઠળ ગુપ્ત રહેશે.
ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે રાજ્યસભાના 233 ચૂંટાયેલા સભ્યો, રાજ્યસભાના 12 નામાંકિત સભ્યો અને લોકસભાના 543 ચૂંટાયેલા સભ્યો મતદાન કરી શકે છે. હાલમાં, રાજ્યસભામાં 5 અને લોકસભામાં 1 બેઠક ખાલી છે, જેના કારણે આ ચૂંટણીમાં 781 સાંસદો મતદાન કરી શકે છે.
ભારત રાષ્ટ્ર સમિતિએ તેના 4 રાજ્યસભા સાંસદ, બીજુ જનતા દળે તેના 7 રાજ્યસભા સાંસદ, શિરોમણી અકાલી દળે તેના 1 લોકસભા અને 2 રાજ્યસભા સાંસદને મતદાન ન કરવા કહ્યું છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી પ્રક્રિયામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી,રાહુલ ગાંધી તેમજ મલ્લિકાર્જુન ખડગે સહિતના સાંસદોએ મતદાન કર્યું હતું.