અંકલેશ્વરના રાજપીપળા ચોકડીથી મીરાનગર તરફ જતા માર્ગ પર આવેલી નવજીવન હોમ સોસાયટીના મુખ્ય પ્રવેશદ્વાર સામે કચરાનો વિશાળ ઢગલો ખડકાતા સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી પડેલા કચરાના કારણે વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે આસપાસના રહેવાસીઓ અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ માર્ગ પરથી દરરોજ હજારો વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ શાળા અને કોલેજમાં અવરજવર કરે છે. કચરાના ઢગલાથી ફેલાતી ગંદકી અને ચેપજન્ય રોગોના ભયને કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર પણ ગંભીર જોખમ ઊભું થયું હોવાનું સ્થાનિકોનું કહેવું છે.આ વિસ્તાર ગડખોલ ગ્રામ પંચાયતની હદમાં આવતો હોવાથી સ્થાનિકોએ ગ્રામ પંચાયત સામે તાત્કાલિક કચરો દૂર કરવાની માંગ ઉઠાવી છે. સાથે જ નિયમિત સફાઈ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા, જાહેર આરોગ્યનું રક્ષણ કરવા અને બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહેલી તકે અસરકારક પગલાં ભરવાની માંગ પણ કરવામાં આવી છે.