મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહયાં હોવાથી વેકસીનેશનની કામગીરી ઝડપી બનાવવી જરૂરી છે. મહારાષ્ટ્ર વિશાળ રાજય હોવાના કારણે સરકારી તંત્ર ઝડપથી વેકસીનેશન કરી શકે તેમ ન હોવાથી હવે સોસાયટીના રહીશોએ નવતર અભિગમ અપનાવ્યો છે. સોસાયટીઓ તરફથી જ વેકસીનેશન કેમ્પનું આયોજન કરાય રહયું છે અને તેની પહેલ વિનસ કો- ઓપરેટીવ સોસાયટીએ કરી છે.
મુંબઇમાં આવેલી વિનસ કો- ઓપરેટીવ સોસાયટીના રહીશો વેકસીન લેવા માટે ઇચ્છુક હતાં પણ વેકસીનેશન સેન્ટર ખાતે લોકોની કતાર લાગતી હોવાથી સોશિયલ ડીસટન્સ જળવાતું ન હોવાથી તેઓ વેકસીન મુકાવવા જતાં ડરી રહયાં હતાં. આખરે સોસાયટીમાં જ વેકસીનેશન કેમ્પ યોજવામાં આવે તે બાબતે મંત્રી આદિત્ય ઠાકરેના કાર્યાલયનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આદિત્ય ઠાકરેને પણ વિનસ કો- ઓપરેટીવ સોસાયટીના રહીશોનો વિચાર પસંદ પડયો હતો અને તેમણે વેકસીનેશન માટેની તમામ વ્યવસ્થા કરી આપી હતી.
એક જ દિવસમાં સોસાયટીના 400થી વધારે રહીશોને રસી આપવામાં આવી હતી આ પ્રસંગે આદિત્ય ઠાકરે પણ હાજર રહયાં હતાં. સોસાયટીના ચેરમેન અરૂણ સેહગલ તરફથી મુખ્યમંત્રી કોવીડ રાહત ફંડમાં 1.11 લાખ રૂપિયાનો ચેક આદિત્ય ઠાકરેના હસ્તે આપવામાં આવ્યો હતો. બીજી તરફ મુંબઇ મહાનગરપાલિકાના મેયર કિશોરી પેડનેકરે પણ લોકોને ઝડપથી વેકસીન મુકાવી લેવા અપીલ કરી છે. વિનસ કો- ઓપરેટીવ સોસાયટીના ચેરમેન અરૂણ સેહગલે જણાવ્યું હતું કે, સરકાર માટે વેકસીનેશનની કામગીરી અધરી છે તેથી અમે સોસાયટીના રહીશો સરકારની મદદે આવ્યાં છે.
આદિત્ય ઠાકરેના પ્રયાસોથી અમારી સોસાયટીમાં વેકસીનેશન માટે તમામ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. એક જ દિવસમાં અમારી સોસાયટીના 400થી વધારે રહીશોને કોરોનાની વેકસીન આપવામાં આવી છે. કોરોના વેકસીનેશનને ઝડપી બનાવવા માટે દરેક સોસાયટીના રહીશોએ આ પ્રકારના પ્રયાસો કરવા જોઇએ.