ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ

નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો

ડેમની સપાટી 138.38 મીટર પર પહોંચી

ડેમ મહત્તમ સપાટી સુધી પહોંચવામાં 30 સે.મી.બાકી

નર્મદાના નીરના વધામણા કરવાની તૈયારી 

ગુજરાતની જીવા દોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ આવતીકાલે તેની મહત્તમ સપાટી વટાવે તેની શક્યતા છે જેને લઇને તંત્ર દ્વારા નર્મદાના નીરના વધામણા કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે.ઉપરવાસમાંથી પાણીની આવક વધતા નર્મદા ડેમની જળ સપાટી પણ વધી છે. ડેમની જળ સપાટીમાં 24 કલાકમાં 35 સેન્ટિમીટરનો વધારો નોંધાયો છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 138.38 મીટર પર પહોંચી છે.. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે ત્યારે ડેમ હવે તેની પૂર્ણકક્ષાએ ભરાવવામાં માત્ર 30 સેન્ટીમીટર જ બાકી છે. નર્મદા ડેમના ઉપરવાસમાંથી 1,36,145 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે તો નર્મદા નદીમાં 1,35,621 પાણી છોડવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમના 10 દરવાજા એક મીટર ખોલવામાં આવ્યા છે. રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આવતીકાલે નર્મદાના નિરના વધામણા કરવા કેવડીયા પહોંચે તેવી શક્યતા છે. આવતીકાલે નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી વટાવશે તેવી શક્યતાને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ તરફ નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી વટાવે તો સલામતીના ભાગરૂપે ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના ૪૨ ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે.