Connect Gujarat
સમાચાર

સુરેન્દ્રનગર : ભાજપે ચંદુ શિહોરાને ટિકિટ આપતા તળપદા કોળી સમાજનો વિરોધ, યોજાયું સમાજનું સંમેલન...

જોકે, કેટલીક બેઠકો પર ટિકિટને લઈ વિરોધ પણ થઈ રહ્યો છે.

X

લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. મતદાનની તારીખ પણ જાહેર થઈ ગઈ છે, ત્યારે ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષોએ પોતાના ઉમેદવારના નામ પણ જાહેર કરી દીધા છે. ગુજરાતમાં પણ ભાજપ-કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. જોકે, કેટલીક બેઠકો પર ટિકિટને લઈ વિરોધ પણ થઈ રહ્યો છે. આ વચ્ચે સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર ચંદુ શિહોરાને ભાજપે ટિકિટ આપી છે, ત્યાં પણ વિરોધનો વંટોળ વકર્યો છે. તળપદા કોળી સમાજનું સંમેલન યોજાયું હતું, જેમાં પૂર્વ સાંસદ સોમાભાઈ ગાંડા અને તળપદા કોળી સમાજના પૂર્વ ધારાસભ્યોએ સંમેલનમાં ખાસ હાજરી આપી હતી. સંમેલનમાં એક જ સૂર ઊઠ્યો હતો કે, ભાજપ દ્વારા તળપદા કોળી સમાજ સાથે અન્યાય કરવામાં આવ્યો છે, એ સમાજ ચલાવી નહીં લે. પૂર્વ સાંસદ સોમાભાઈ ગાંડાએ કહ્યું કે, સૌરાષ્ટ્રની 3 સીટ તળપદા કોળીની છે, તેમ છતાં બીજા ઉમેદવારને ટિકિટ આપી ભાજપે અન્યાય કર્યો છે.

તળપદા કોળી સમાજની ભાજપે અવગણના કરી છે, એનું પરિણામ પણ ભોગવવું પડશે. જો કૉંગ્રેસ હવે તળપદા કોળી સમાજના નેતામાંથી ટિકિટ આપશે તો તેને તળપદા કોળી સમાજ ટેકો આપશે તેમ સંમેલનમાં નિર્ણય કરાયો હતો.

આ અંગે ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ડો. ઋત્વિક મકવાણાએ જણાવ્યું કે, સુરેન્દ્રનગર કોળી સમાજની બોર્ડિંગ ખાતે આજે સમાજના સૌ લોકો મળ્યા હતા. સમાજને આ લોકસભા માટે નેતૃત્વ મળે, એ માટેનું મનોમંથન કર્યું છે. સમાજે એ માટે કમિટી પણ બનાવી છે. સમાજનું નેતૃત્વ આ વિસ્તારમાંથી કોણ કરશે, એની પેનલ સમાજની કમિટી બનાવીને આપશે. અને એ લાગણી અને એ યાદી પ્રદેશના નૈતૃત્વ સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરીશું. સમાજની જે લાગણી છે, એ લાગણીને ન્યાય મળે એ વાત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મોવડી મંડળ સુધી પણ પહોંચાડીશું.

આ અંગે ચોકી ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તરીકે ફરજ બજાવતા અર્જુન ભયાદરાએ આક્રોશ સાથે જણાવ્યું કે, સુરેન્દ્રનગર લોકસભા માટે સમાજના આગેવાનોની મિટિંગમાં એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે, ભાજપમાંથી તળપદા કોળી સમાજને ટિકિટ આપવામાં આવી નથી. આવડો મોટો સમાજ અને આજદિન સુધી ખોબે ને ખોબે મત આપ્યા છે, છતાં આવી મોટી અવગણના તળપદા કોળી સમાજની કરવામાં આવી છે. આથી સમાજ તરફથી એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, જો આ ટિકિટની ફેરબદલી કરવામાં નહીં આવે તો ભાજપ પક્ષમાંથી તમામ કાર્યકર્તાઓ સામૂહિક રાજીનામા આપવાની પૂર્વ તૈયારીમાં છે.

Next Story