/connect-gujarat/media/media_files/2025/04/18/OcWKX44yE2bIFPaTM9UX.jpg)
નાગરિકો હવે વાહન 4.0 પોર્ટલ દ્વારા તેમનાં ઇલેક્ટ્રિક વાહનોની ઓનલાઈન નોંધણી કરાવી શકે છે અને એનો સીધો લાભ મેળવી શકે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે વર્ષ 2025-26ના બજેટમાં આ ટેક્સ ઘટાડા અંગે જાહેરાત કરી હતી, જેને હવે લાગુ કરવામાં આવી છે.
ઈલેક્ટ્રિક વ્હીકલ પરનો 6 ટકા ટેક્સ હવેથી 1 ટકા લેખે જ વસૂલવા આદેશ જારી કર્યો છે, જેને પગલે હવેથી ઈલેક્ટ્રિક વ્હીકલ પર 1 ટકા લેખે જ આરટીઓનો વ્હીકલ ટેક્સ વસૂલવામાં આવશે. ટેક્સમાં 5 ટકા છૂટ આપવાથી વાહનમાલિકોને ફાયદો થશે. કારમાલિકોને 30 હજારથી લઈને 1 લાખ સુધીનો સીધો ફાયદો થશે. આ જાહેરાતના પગલે ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ફરી વધારો થશે એવી શક્યતા છે.
જો 10 લાખની EV કાર હોય તો એના પર પહેલાં 6 ટકા ટેક્સ લાગતો હતો, જે હિસાબે 60 હજાર ટેક્સ ચૂકવવો પડતો હતો, પરંતુ હવે એમાં 5 ટકાનું ડિસ્કાઉન્ટ આપતાં 50 હજારનો સીધો ફાયદો થશે અને માત્ર 10 હજાર જ ટેક્સ પેટે ચૂકવવા પડશે.
ટેક્સ ઘટાડાથી ગુજરાત દેશમાં ટોપ 10માં આવશે: ઓટોમોબાઈલ એક્સપર્ટ
ગુજરાત સરકાર દ્વારા ઇવી વાહનોમાં કરેલા ટેક્સ ઘટાડાને લઈ ઓટોમોબાઈલ એક્સપર્ટ કપિલ ભીંડીએ જણાવ્યું કે, ગુજરાતમાં પહેલાના વેચાણમાં અને ટેક્સ ઘટાડા બાદના વેચાણમાં ઘણો ફરક પડશે. અન્ય રાજ્યમાં 5 ટકાથી ઓછો ટેક્સ હોવાથી ત્યાં વેચાણ વધુ હતું અને ગુજરાતનો નંબર ભારતમાં 12 થી 15 વચ્ચે આવતો હતો. પરંતુ હવે ગુજરાતનો ઈવી વેચાણમાં ટોપ ટેનમાં સમાવેશ થશે તે નિશ્ચિત છે.
ગુજરાત સરકારે ઈલેક્ટ્રિક વ્હીકલનું વેચાણ વધે એ માટે સૌથી પહેલા ટૂ- વ્હીલરને 25 હજાર સબસિડી અને 15 લાખથી ઓછી કિંમતના ફોર-વ્હીલર પર 1.50 લાખ રૂપિયાની સબસિડી આપી હતી. છેલ્લા એક વર્ષથી આ સબસિડી બંધ કરી દેવામાં આવી છે. સબસિડી બંધ થયા બાદ ઈલેક્ટ્રિક વ્હીકલના વેચાણમાં 50 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.
ગત વર્ષની સરખામણીએ સુરતમાં 50 ટકા જ ઈલેક્ટ્રિક વ્હીકલનું વેચાણ થયું છે. સુરતમાં જ નહીં, સમગ્ર રાજ્યમાં ઈલેક્ટ્રિક વ્હીકલનું વેચાણ ઘટી જતાં રાજ્ય સરકારે બજેટ વખતે ઈલેક્ટ્રિક વ્હીકલ પર વસૂલાતા 6 ટકા વ્હીકલ ટેક્સને 1 ટકા કરી દેવાની જાહેરાત કરી હતી, જેના પાલનની આજે જાહેરાત કરવામાં આવી છે.