પંચમહાલ જિલ્લાના પાવાગઢ ડુંગરના માચી ખાતે ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો કકળાટ શરૂ થતાં અહી આવતા પ્રવાસીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. વારંવારની રજૂઆત છતાં યોગ્ય નિકાલ નહીં આવતા પાણી પુરાવઠા વિભાગ પ્રત્યે લોકોમાં રોષ જોવા મળ્યો છે.
પવિત્ર યાત્રાધામ પાવાગઢના માચી અને ડુંગર ઉપર વસવાટ કરતા લોકોને હાલોલ સ્થિત જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગ દ્વારા પાઇપલાઇનથી પાણી પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. સામાન્ય રીતે અહી લોકોને રોજના એક લાખ લિટર પાણીની જરૂરિયાત રહે છે, જ્યારે રજાઓના દિવસે દર્શનાર્થીઓ વધુ આવતા હોવાથી 50 હજાર લિટર પાણીની જરૂરિયાત રહેતી હોય છે. તેવામાં પાણીના ઘટની સમસ્યાને પહોંચી વળવા પાણી પુરવઠા વિભાગ દ્વારા રાણીપુરાના 2 સંપમાંથી પ્રેસર સાથે પીવાના પાણીને માચી સંપ સુધી મોકલવામાં આવે છે. પરંતુ ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થતા જ શક્તિપીઠ પાવાગઢના ડુંગર ઉપર પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે.
પાવાગઢ આસપાસ વિસ્તારના પાણી પુરાવઠા વિભાગના તમામ સંપ કાર્યરત હોવા છતાં મંદિર સુધી પાણીનો પુરવઠો પહોંચી શકતો નથી. ચૈત્રી નવરાત્રી નજીક આવી રહી છે, તેવામાં માચી અને મંદિર સુધી પાણી પુરવઠો નિયમિત નહીં થાય તો નવરાત્રી દરમ્યાન લાખો દર્શનાર્થીઓ માટે જળસંકટ ઉભું થશે તો નવાઈ નહીં. હાલ તો પાવાગઢ ખાતે રહેતા પરિવારજનોમાં પાણીનો કકળાટ ઊભો થયો છે, ત્યારે હવે લોકોને જરૂરિયાત મુજબનું પાણી મળી રહે તેવી માંગ ઉઠવા પામી છે.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170