પંચમહાલ જિલ્લાના સમગ્ર વહીવટી તંત્રને છેલ્લાં ૪૮ કલાકોથી ઉજાગરા કરાવતી આ ૭ કર્મચારીઓના મોત નિપજાવનાર ગુજરાત ફ્લોરો કેમિકલ્સ (GFL)ની ગોઝારી દુર્ઘટના સંદર્ભમાં અકસ્માતે મોતની નજરોથી નહીં પરંતુ કંપની સત્તાધીશોની કાયદેસર ફરજો અને ગંભીર બેદરકારીઓને કાયદાની નજરોમાં સામેલ કરીને મનુષ્ય વધના ગુન્હાની કલમ સાથે તપાસો હાથ ધરીને બેજવાબદાર કંપની સત્તાધીશો સામે કાયદેસર કાર્યવાહીઓ હાથ ધરવામાં આવે તેવી આક્રોશસભર લાગણીઓ મૃતક કર્મચારીઓના સ્વજનોએ જાહેરમાં વ્યક્ત કરી હતી.
જોકે, GFLમાં ૭ કર્મચારીઓના મોત અને ૨૨ જેટલા કર્મચારીઓની ગંભીર ઈજાઓ બદલ કંપની સત્તાધીશોએ પોતાની બેજવાબદારીઓ જાહેરમાં સ્વીકારવાના બદલે પ્રત્યેક મૃતક કર્મચારીને ૨૦ લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા અને અપંગ બની ગયેલા કર્મચારીઓને ૭ લાખ રૂપિયાની સહાય, જ્યારે સામાન્ય ઈજાગ્રસ્ત થયેલા કર્મચારીઓની તમામ સારવારનો ખર્ચો અને ફરજ ઉપર હાજર ન થાય ત્યાં સુધી પગારના નાણાં ચુકવવાની જાહેરાત કરીને આ દુર્ઘટનાની જીવનભરની વેદનાઓને નાણાંકીય સહાયની ઉદારતાઓના દેખાવમાં ખરીદ કરવાની સહાનુભૂતિઓ વ્યક્ત કરી હતી.
