ગુજરાતમાં ખેડૂતો પોતાના ખેત ઉત્પાદનને લાંબા સમય સુધી સાચવી શકે તે માટે સરકાર સહાય કરે છે. “મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના” હેઠળ ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે સબસીડી આપવામાં આવે છે ત્યારે આ યોજના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોટા ભાગના ગામડાઓમાં લોકો ખેતી પર નિર્ભર છે. દર્શનભાઈ આવા જ એક ખેડૂત છે. તે ખેતી સારી કરે, પણ કમોસમી વરસાદના કિસ્સામાં પાક-સંગ્રહની સમસ્યા મોટી હતી.જો કે, હવે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાના કારણે તેમની સમસ્યા ઉકેલાઈ છે. ખેતર પર ગોડાઉન બનાવવા માટે દર્શનભાઈને સરકાર તરફથી રુપિયા 75 હજારની સબસિડી મળી છે. જેનાથી તેમણે પાક-સંગ્રહ સ્ટ્રક્ચર બનાવ્યું છે. આ સ્ટ્રક્ચરની મદદથી તેઓ પોતાનો પાક લાંબા સમય સુધી સંગ્રહ કરી શકે છે.
એક અંદાજ મુજબ ભારતમાં દર વર્ષે 22 ટકા ખેત-ઉત્પાદનનો યોગ્ય સંગ્રહના અભાવે વ્યય થાય છે. મનુષ્ય અને પ્રાણીઓ પાક ન બગાડે તેની ચિંતા પણ ખેડૂત માટે શિરદર્દ બની રહે છે. પણ, રાજકોટના પરા પીપળીયાના વિક્રમભાઈને આ શિરદર્દમાંથી છુટકારો મળ્યો છે.
ખેડૂતોને પોતાના ગોડાઉનના કારણે હવે નીચી કિંમતે ફરજિયાત પાક વેચવામાંથી મુક્તિ મળે છે. અને તે ખેત-પેદાશ લાંબા સમય સુધી સંગ્રહ કરી સારો ભાવ મેળવી શકે છે. આમ, મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના ખેડૂતો માટે ઉપકારક બની રહી છે.
