/connect-gujarat/media/post_banners/f5afa10d559098055602d02c5d24527258659155aae2f2a0c23cd37f1705c956.jpg)
રાજકોટથી 20 કિલોમીટર દૂર પડધરીના અમરેલી ગામે 42 એકરથી વધુ જમીન પર ખોડલધામ ટ્રસ્ટ દ્વારા કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના નિર્માણકાર્યનું ભૂમિપૂજન કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયા અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયા અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજકોટ-પડધરીના અમરેલી ગામે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા 42 એકરથી વધુ જમીન પર નિર્માણ પામનાર કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અવસરે વર્ચ્યુઅલ હાજરી આપી હતી. PM મોદીએ ખોડલધામ ટ્રસ્ટ સંચાલિત કેન્સર હોસ્પિટલના નિર્માણને વધાવ્યું હતું, અને ‘મેઇડ ઈન ઇન્ડિયા’ની જેમ ‘વેડ ઈન ઇન્ડિયા’ સૂત્ર આપ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, દેશમાં કેન્સરથી 80 લાખ લોકોના મૃત્યુ થાય છે, ત્યારે લોકોએ વ્યસનથી દૂર રહેવું જોઈએ. અમરેલી કેન્સર હોસ્પિટલ સેવાભાવનાની મિશાલ બનશે. કેન્સર જેવી ગંભીર બીમારીનો ઈલાજ ખૂબ જ કઠિન છે. સરકાર દ્વારા દેશમાં 9 વર્ષમાં 30 નવી કેન્સર હોસ્પિટલ નિર્માણ પામી છે, જ્યારે વધુ 9 હોસ્પિટલ બનવા જઈ રહ્યા છે. આ અવસરે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે જણાવ્યું હતું કે, 42 એકરમાં અદ્યતન કેન્સર હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે આ હોસ્પિટલને રાષ્ટ્ર માટે અર્પણ કરવા માટે ખોડલધામ ટ્રસ્ટ તત્પર છે. આ સાથે જ નિર્માણ પામનાર કેન્સર હોસ્પિટલ સૌરાષ્ટ્રવાસીઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે.