વડોદરા જિલ્લાના કરજણ ખાતે આવેલ શાહ એન.બી. સાર્વજનિક હાઇસ્કૂલમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળતા વિધાર્થીઓના સ્વાસ્થ્ય પર જોખમ મંડરાતું હોવાના આક્ષેપ સાથે મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષે રોષ વ્યક્ત કર્યો હતો.
વડોદરા જિલ્લાના કરજણ તાલુકા કેળવણી મંડળ દ્વારા સંચાલિત શાહ એન.બી. સાર્વજનિક સ્કૂલના પ્રવેશ દ્વારા ઉપર જ કચરાના ઢગલા જોવા મળતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ શાળા સંચાલકોના વહીવટ સામે સવાલ ઉઠાવ્યા હતા. આ સ્કૂલમાં શૌચાલય પણ શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યા છે. જેથી બાળકો પ્રાથમિક સુવિધાથી વંચિત રહી જાય છે. શૌચાલયની દુર્દશાના કારણે વિદ્યાર્થીઓમાં રોગચાળો ફેલાવાની દહેશત વર્તાય રહી છે. હાલમાં ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન અંગેની ઝુંબેશ ચલાવવામાં આવે છે. પરંતુ સ્વચ્છતા બાબતે કોઈ જ પગલા લેવામાં નહીં આવતા તંત્રની ઉદાસીનતાનો ભોગ માસુમ વિદ્યાર્થીઓ બની રહ્યા છે. તો તાલુકાની બીજી અન્ય સરકારી શાળાઓની પરિસ્થિતિ શું હશે તે એક મોટો પ્રશ્ન છે. સમગ્ર મામલે મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ મિનેષ પરમાર દ્વારા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.