રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ છેલ્લા 48 કલાકમાં વધુ ભીષણ બનતાં મોટો વિનાશ સર્જાયો છે. રશિયાએ યૂક્રેનના મહત્વના વિસ્તારો પર 24 બેલેસ્ટિક મિસાઈલો અને ડ્રોન વડે તીવ્ર હુમલા કર્યા છે, જેમાં 21 લોકોના સ્થળ પર જ મોત નિપજ્યા છે, જ્યારે છેલ્લા બે દિવસમાં કુલ મૃત્યુઆંક 60 સુધી પહોંચી ગયો છે.

રશિયા અને યૂક્રેન વચ્ચે ક્ષેત્રીય વર્ચસ્વ અને સૈન્ય વ્યૂહરચનાને લઈને ચાલી રહેલા આ ઘાતક સંઘર્ષે હવે અત્યંત ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું છે. મળતી માહિતી મુજબ, રશિયન સેનાએ છેલ્લા 48 કલાક દરમિયાન યૂક્રેનના સૈન્ય મથકો અને રહેણાંક વિસ્તારોને લક્ષ્ય બનાવીને ધાણીફૂટ બેલેસ્ટિક મિસાઈલો દાગી હતી. આ ભીષણ રોકેટ અને મિસાઈલ હુમલામાં અત્યાર સુધીમાં 21 જેટલા નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે સતત થઈ રહેલા બોમ્બમારાના કારણે બે દિવસમાં કુલ મૃત્યુઆંક 60 પર પહોંચી ગયો છે. રશિયન સંરક્ષણ મંત્રાલયના દાવો અનુસાર, તેમણે યૂક્રેન તરફથી વળતા પ્રહાર રૂપે મોકલવામાં આવેલા આશરે 475 જેટલા ડ્રોનને હવામાં જ તોડી પાડીને નિષ્ફળ બનાવ્યા છે. રશિયાએ કૂલ 24 બેલેસ્ટિક મિસાઈલ છોડીને યૂક્રેનિયી સૈન્ય લોજિસ્ટિક્સ અને પાવર ગ્રીડ સિસ્ટમને મોટું નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. આ ભયાનક હુમલાઓને કારણે યૂક્રેનના અનેક શહેરોમાં મકાનો ધરાશાયી થઈ ગયા છે અને હજારો લોકો બેઘર બન્યા છે. હુમલાની તીવ્રતા એટલી વધારે હતી કે આસપાસના વિસ્તારોમાં વીજળી અને પાણી પુરવઠો સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે.

બંને દેશો વચ્ચે વધતા જતા આ સૈન્ય સંઘર્ષથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચિંતા વ્યાપી ગઈ છે. સંયુક્ત રાષ્ટ્ર અને વૈશ્વિક નેતાઓએ તાત્કાલિક યુદ્ધવિરામ અને શાંતિ વાટાઘાટો શરૂ કરવા અપીલ કરી છે. જોકે, રશિયા દ્વારા કરવામાં આવેલા આ મોટા હુમલા બાદ યૂક્રેને પણ ભારે વળતો પ્રહાર કરવાની ચેતવણી આપી છે. આથી આગામી દિવસોમાં આ યુદ્ધ વધુ ઉગ્ર બને અને વૈશ્વિક અર્થતંત્ર તેમજ ઈંધણના પુરવઠા પર તેની ગંભીર નકારાત્મક અસરો પડે તેવી પૂરેપૂરી આશંકા સેવાઈ રહી છે.