સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલ પોલીસ ક્વાટર્સના 7મા માળેથી એક મહિલાએ છલાંગ લગાવી મોતને વ્હાલું કર્યું હતું. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, હિંમતનગર ખાતે જિલ્લા પોલીસ વડાની કચેરી સામે નિર્માણ પામી રહેલા પોલીસ ક્વાટર્સના સાતમા માળેથી એક મહિલાએ પડતું મૂકી મોતને વ્હાલું કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. ઝહીરાબાદના રહેવાસી 36 વર્ષીય રોશનબેન ઉર્ફે સમીમબાનું અનવર કલાલે ગત સોમવારે બપોરના સુમારે મોતની છલાંગ લગાવતા તેઓનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયું હતું. સમગ્ર બનાવની પીએસઆઇ અર્જુન જોશીને જાણ થતાં પોલીસ કાફલા સાથે તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે મહિલાએ કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તેનું રહસ્ય પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.