સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના મોરડ ગામમાં ગત બુધવારે બપોરે પશુઓના તબેલા નજીકથી પસાર થતી વીજ લાઈનમાંથી તણખા ઝરતાં 2 લાખ રૂપિયાનો 25 ટ્રેક્ટર જેટલો ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો, ત્યારે ફાયરબ્રિગેડ અને ગ્રામજનોએ પાણીનો મારો ચલાવી સમગ્ર આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગની ઝપેટથી પશુઓ બચી ગયા હતા.

મળતી માહિતી અનુસાર, વડાલી તાલુકાના મોરડ ગામમાં રહેતા રામજી પટેલનો કુબાધરોલ માર્ગ પર પશુઓનો તબેલો આવેલો છે. આ તબેલા નજીક પશુઓના ઘાસચારા માટે મગફળી અને સોયાબીનનું ગોતું તેમજ 25 ટ્રેકટર જેટલો ઘાસચારો રાખવામાં આવ્યો હતો. જે તબેલા નજીકથી પસાર થતી વીજ લાઈનમાંથી વીજ તણખા ઝરતા ઘાસચારામાં આગ લાગી હતી. જેથી ધુમાડાના ગોટેગોટા નીકળતા ગ્રામજનો તેમજ તબેલાના માલિક અને પરિવારજનો તાત્કાલિક દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં જ વડાલી નગરપાલિકાના ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગને કાબુમાં લેવા કવાયત હાથ ધરી હતી. ફાયર ફાઈટરોએ ગ્રામજનોને સાથે રાખી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, પાશુપાલક અને ખેડૂત પરિવારને અંદાજે રૂપિયા 2 બે લાખ જેટલું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. સદનસીબે આગની ઝપેટથી પશુઓ બચી જતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ વીજ તંત્રની ઘોર બેદરકારીથી આગ ફાટી નીકળતા પશુપાલકે રોષ વ્યક્ત કર્યો હતો.