કોરોનાના દર્દીઓ માટે જીવન રક્ષક સમાન રેમડેસિવિર ઈન્જેકશનની માંગમાં ખૂબ જ વધારો નોંધાયો છે, ત્યારી માંગ વધુ હોવાના કારણે સર્જાયેલી ઈન્જેકશનની અછતનો કેટલાક લેભાગુ તત્વો ફાયદો ઉઠાવી રહ્યા છે. જેમાં રેમડેસિવિર ઈન્જેકશનની કાળાબજારી કરતા હોવાની ઉઠેલી ફરિયાદો વચ્ચે પોલીસે સુરતના ભાગળ ચાર રસ્તા નજીકથી ઈન્જેકશનના કાળાબજારી કરતા કતારગામના તબીબ સહિત ચાર લોકોને ઝડપી પાડ્યા છે.
હાલમાં કોરોના વાઈરસના નવા સ્ટ્રેનમાં કોવિડ પોઝિટિવના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે કોરોનાના દર્દીઓ માટે અત્યંત જરૂરી એવા રેમડેસિવિર ઈન્જેકશનની માંગમાં પણ ખૂબ વધારો થયો હોવાથી ઈન્જેકશનની અછત વર્તાઇ રહી છે. જેનો કેટલાક ફાયદો ઉઠાવી ગેરકાયદેસર રીતે ઈન્જેકશનની કાળાબજારી કરતા હોવાનું બહાર આવ્યું છે, ત્યારે આ દિશામાં કાર્યવાહી કરવા પોલીસ દ્વારા કડક સુચના આપવામાં આવી હતી, ત્યારે જૈનીશ કાકડીયા તેના સાગરીતો સાથે ગેરકાયદે રીતે મેળવેલા ઈન્જેકશનનો ઉંચા ભાવે વેચાણ કરે છે અને તે હાલમાં ભાગળ ચાર રસ્તા ઝપાટા શોરૂમ પાસે પોતાની બાઈક પર બેઠો છે. જે બાતમીના આધારે, પીઆઈ એસ.જે.ભાટિયાએ સ્ટાફના માણસો સાથે સ્થળ પર પહોચી એક્ષપોટીંગનો ધંધો કરતા જૈનીશ કાકડીયાને રેમડેસિવિર ઈન્જેકશન સાથે ઝડપી પાડ્યો હતો. જૈનીશની વધુ પૂછપરછ બાદ તેને સાથ આપનાર તેના સાગરીત ભદ્રેશ નાકરાણી, જૈમીશ જીકાદરા અને ડો. સાહિલ ધોધારીને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા. પીસીબીએ આરોપીઓ પાસેથી રેમડેસિવિર ઈન્જેકશનના 3 બોક્ષ, 4 નંગ મોબાઈલ ફોન, રોકડ રકમ તથા મોટર સાયકલ મળી કુલ 1,23,717 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે પીસીબીની પૂછપરછમાં આરોપીઓએ અમરોલીના ન્યુ કોસાડ રોડ મુની ક્લીનીક ઍન્ડ નર્સીગ હોમના તબીબ હિતેશ ડાભીએ ઈન્જેકશન સપ્લાય કર્યા હોવાની કબૂલાત કરતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.