-
પાલનપુર ગામની પાર્શ્વનાથ સોસાયટીમાં સમસ્યા
-
પાલિકા દ્વારા અપાતી પ્રાથમિક સુવિધાનો અભાવ
-
ડોર ટુ ડોર કચરાના વાહનો નહીં આવતા સમસ્યા
-
પ્રાથમિક સુવિધાના અભાવે લોકો ત્રાહિમામ થયા
-
સ્થાનિકોએ ઉચ્ચારી છે ચૂંટણી બહિષ્કારની ચીમકી
સુરત શહેરના પાલનપુર ગામમાં આવેલ પાર્શ્વનાથ હાઉસિંગ સોસાયટીમાં ડોર ટુ ડોર કચરાના વાહનો સમયસર નહીં આવતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પાર્શ્વનાથ સોસાયટીમાં 170 જેટલા મકાનો આવેલા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, સુરત શહેરની ડોર ટુ ડોર કચરાની ગાડીઓ આ સોસાયટીમાં 8-8 દિવસ સુધી આવતી નથી. અને જ્યારે આવે છે, ત્યારે એ લોકો કચરો પોતે લેતા નથી. ગાડીની હાઈટ વધારવાથી સોસાયટીમાં રહેતી મહિલાઓને કચરો નાખવામાં તકલીફ પડે છે, જેને લઈને સ્થાનિકોએ ભેગા થઈ ભાજપ વિરોધી નારા લગાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
આ સાથે જ સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. સ્થાનિકોએ જણાવ્યુ હતું કે, કોઈપણ રાજકીય પાર્ટીએ ચૂંટણી પ્રચાર માટે સોસાયટીમાં આવવું નહીં. કચરાની ગાડીને લઈ સ્થાનિકો જ્યારે પણ કોર્પોરેટરોને ફોન કરે છે, ત્યારે તેઓ ફોન રિસીવ નહીં કરતાં હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યાં સુધી સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી રહીશોએ નિર્ણય લીધો છે કે, સોસાયટીનો કચરો રોડની વચ્ચેવચ્ચ ઠાલવવામાં આવે.
