/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/08/02173349/maxresdefault-20.jpg)
હાલ ચાલી રહેલ કોરોના મહામારી વચ્ચે અનલોક બાદ પણ સુરત હીરા ઉદ્યોગોના શ્રમિકોને લોકડાઉનનો પગાર નહીં ચૂકવાતો હોવાની રાવ ઉઠી છે, ત્યારે શ્રમ વિભાગે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલી સંસ્થાઓની બેઠક બોલાવી વહેલી તકે શ્રમિકોના પગારનું કોકડું ઉકેલવા ટકોર કરી હતી.
સુરત શહેર ખાતે હીરા ઉદ્યોગોના શ્રમિકોને લોકડાઉનનો પગાર નહીં ચૂકવાતો હોવાની સુપ્રીમ કોર્ટમાં રીટ થઈ હતી. જેના પગલે વચગાળાનો હુકમ આપતાં શ્રમ વિભાગના અધિકારીઓની હાજરીમાં જે કંપનીનો પગાર ચૂકવવાનો બાકી છે, તેઓના પદાધિકારીઓ અને કારીગરો કે તેમના યુનિયને ભેગા મળીને ચર્ચા કરી વહેલી તકે નિર્ણય લેવા સૂચન કરાયુ હતું. જોકે હીરા ઉદ્યોગની એકેય કંપનીઓ દ્વારા સમાધાન બેઠક નહીં કરાતા શ્રમ વિભાગે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલી સંસ્થાઓની બેઠક બોલાવી શ્રમિકોના પગાર મામલે નિવેડો લાવવા જણાવ્યુ હતું.
સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્ન કલાકારોને 149 વિવિધ ડાયમંડની કંપનીઓ દ્વારા લોકડાઉનનો પગાર નહીં ચૂકવ્યો હોવાની યાદી તૈયાર કરવામાં આવી હતી. આ યાદી લેબર વિભાગને સોંપવામાં આવી હતી. જેમાં ગત શુક્રવારે લેબર વિભાગ દ્વારા ફરી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલી સંસ્થાઓએ પગાર મુદ્દે સમાધાન અંગે બેઠક બોલાવી નિર્ણય કરવા જણાવ્યું છે. જોકે લેબર વિભાગ તરફથી બીજી વાર સંસ્થાઓને નોટીસ પાઠવાઈ છે.