સુરતની ઉધના વિધાનસભા બેઠક પરથી બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર સુરેશ સોનવનેએ આજે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે નામાંકન ભર્યું હતું. કોંગ્રેસમાંથી રાજીનામુ આપી બહુજન સમાજ પાર્ટીમાં જોડાયા બાદ સુરેશ સોનવને બહુજન સમાજ પાર્ટીએ ટિકિટ આપી છે, ત્યારે આજે મોટી સંખ્યામાં સમર્થકો સાથે તેઓ ઉમેદવારી પત્ર ભરવા પહોચ્યા હતા. સુરેશ સોનવનેએ કોંગ્રેસમાંથી ઉધના બેઠક પર ટિકિટની માંગણી કરી હતી. જોકે, કોંગ્રેસ દ્વારા ધનસુખ રાજપૂતને ટિકિટની ફાળવણી કરાતા નારાજ થયેલા સુરેશ સોનવનેએ પાર્ટીમાંથી રાજીનામું આપી બહુજન સમાજ પાર્ટીમાં જોડાયા હતા. એટલું જ નહીં સુરેશ સોનવને પૂર્વ કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે. દલિત સમાજમાં મોટું અસ્તિત્વ પણ ધરાવે છે, ત્યારે હવે સુરતમાં વિધાનસભાની ચૂંટણીના જંગમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે હવે ચોથો પક્ષ બસપા પણ મેદાને આવ્યો છે.