-
મહારાણા પ્રતાપ સોસાયટીની ચકચારી ઘટના
-
મનપાનાં ગંદા પાણીને લઈને લોકો પડ્યા બીમાર
-
દૂષિત પાણીએ 22 વર્ષીય યુવકનો લીધો ભોગ
-
250 જેટલા ઘરોમાં દૂષિત પાણી પહોંચ્યા
-
મનપાની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ
સુરતના મહારાણા પ્રતાપ ચોક પાસે બે દિવસ અગાઉ દૂષિત પાણીના કારણે એક યુવાનનું મોત થયું હતું, તો 10-12 લોકો હોસ્પિટલમાં ICUમાં દાખલ હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે, મનપાની નિષ્ક્રિય કામગીરીથી સ્થાનિકો રોષે ભરાયા છે.
સુરતના મહારાણા પ્રતાપ ચોક પાસે આવેલી ગલી નંબર-3માં રહેતા જયેશ સીરસાગર નામના યુવકની તબિયત લથડી હતી. રાત્રિના સમયે યુવકની તબિયત લથડતા તેને 10થી 12 વખત ઝાડા-ઉલટી થયા હતા. તેમની માતા સાથે તેઓ રહેતા હતા. સવારે હોસ્પિટલમાં લઈ ગયા તો ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. દૂષિત પાણી પીવાના કારણે તેમનું મોત થયું છે. આ સોસાયટીના અન્ય લોકો પણ દૂષિત પાણીના કારણે ડાયેરિયાની બીમારીમાં સપડાયા હોવાનું બહાર આવ્યું છે.
દૂષિત પાણીથી જયેશના મોત બાદ મહાનગરપાલિકાનું તંત્ર દોડતું થયું છે,અને આરોગ્ય વિભાગ દ્વારા આ વિસ્તારમાં જરૂરી તપાસ કરવામાં આવી હતી,અને દુષિત પાણી તેમજ ખોરાકથી બચવા માટે શું કાળજી લેવી જોઈએ તે માટે બેનરો લગાવીને સંતોષ માન્યો હતો.
દુષિત પાણીથી સર્જાયેલી પરિસ્થિતિથી સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે,તેમજ મહાનગરપાલિકા દ્વારા દુષિત પાણીના નમૂના લેવામાં આવ્યા હતા,અને મનપાને પાણીમાં કોઈ જ ખામી નજર પડી નહોવાનું સ્થાનિક રહીશ દ્વારા જણાવવામાં આવ્યું હતું.અને દુષિત પાણીનું મનપા દ્વારા યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ પણ સ્થાનિકો કરી રહ્યા છે.