હીરાનગરીમાં મોટી સંખ્યામાં વસતા પરપ્રાંતીય શ્રમિકો
દિવાળી, છઠ્ઠ પૂજા, બિહાર ચૂંટણીને લઈને વતનની વાટ
ભીડને કાબૂમાં રાખવા માટે પોલીસ તંત્ર વધુ સજ્જ બન્યું
અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર સતર્ક
ડ્રોનના માધ્યમથી પોલીસ દ્વારા કરાતું સતત મોનીટરીંગ
દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન ઉત્તર ભારત જતા મુસાફરોની સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે ભારે ભીડ ઉમટી છે, ત્યારે મુસાફરોની સુરક્ષા અને સલામતીને લઈને પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે.
સુરત ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર હોવાથી અહીં મોટી સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો વસે છે. તહેવારો અને ચૂંટણીના કારણે મોટી સંખ્યામાં લોકો પોતાના વતન જવા નીકળતા ઉધના રેલવે સ્ટેશન પર જનસાગર ઊમટી રહ્યો છે, ત્યારે મુસાફરોની સુરક્ષા અને સલામતીને લઈને પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સહિત સતત પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું છે.
ઉધના રેલવે સ્ટેશન ખાતે પોલીસ દ્વારા ડ્રોનના માધ્યમથી મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, વધારે ભીડ જોવા મળે તો તાત્કાલિક ધોરણે પોલીસને મોકલી ભીડ કાબુમાં લેવામાં આવી રહી છે. તો બીજી તરફ, પશ્ચિમ રેલવે દ્વારા તમામ સંબંધિત કર્મચારીઓને આદેશનું કડક પાલન સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે. રેલવેનો આ નિર્ણય મુસાફરોની સલામતી અને સ્ટેશન પર સુચારુ વ્યવસ્થા જાળવવા માટે લેવામાં આવ્યો છે.