સુરત : ઉધનામાં ચ્હાના વેપારી પર 2 ઇસમોએ કર્યું 2 રાઉન્ડ ફાયરીંગ, મિસ ફાયરમાં વેપારીનો બચાવ
સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલ શેટ્ટી ચ્હાની દુકાનના માલિક ઉપર 2 ઇસમોએ 2 વાર ફાયરીંગ કર્યું હતું,
સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલ શેટ્ટી ચ્હાની દુકાનના માલિક ઉપર 2 ઇસમોએ 2 વાર ફાયરીંગ કર્યું હતું, જોકે આ ફાયરિંગ મિસ થઈ જતાં ચ્હાના વેપારીનો આબાદ બચાવ થયો હતો. પોલીસે આ ઘટનામાં એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં દિનપ્રતિદિન ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે, જ્યારે પોલીસનો ખોફ ન હોય તે રીતે ગુનાખોરીને અંજામ આપવા અસામાજિક તત્વો સતત પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. તેવામાં ગતરોજ સાંજના સમયે ઉધના વિસ્તારના દક્ષેશ્વર મંદિર રોડ પર આવેલ શેટ્ટી ચ્હાની દુકાનમાં વેપારી રાજુ વાકોડે ઉપર 2 ઈસમો ફાયરિંગ કરવા આવ્યા હતા. તેઓએ ફાયરિંગ કરતા મિસ ફાયરિંગ થયું હતું. જેમાં વેપારીનો બચાવ થયો હતો, જ્યારે વેપારી સહિતના કારીગરો ફાયરિંગ કરવા આવેલા ઈસમો પાછળ દોડ્યા હતા, ત્યારે ફાયરિંગ કરવા આવેલ ઇસમો પડી જતાં તેઓએ ફરી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જ્યારે ફાયરિંગ પુનઃ મિસ થઈ જતા વેપારી રાજુ વાકોડેનો આબાદ બચાવ થયો હતો. બનાવની જાણ થતાં જ ઉચ્ચ અધિકારી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે વેપારી રાજુ વાકોડેની ફરિયાદના આધારે આરોપી મનોજ ડાકલા અને અન્ય ફરાર થયેલ ઈસમો વિરુદ્ધમાં ગુન્હો દાખલ કર્યો છે. સમગ્ર મામલે ઉધના પોલીસે આરોપી મનોજ ડાકલાની ધરપકડ કરી છે, અને કયા કારણોસર ઘટનાને અંજામ આપ્યો હતો તે દિશામાં તપસ હાથ ધરી છે.