Connect Gujarat
સુરત 

સુરત : કતારગામના વૃદ્ધે રિવોલ્વોરથી પોતાને જ ગોળી મારી કર્યો આપઘાત, પોલીસ તપાસ શરૂ...

સુરત જિલ્લાના પલસાણાના બલેશ્વર ગામની સિમમાં કતારગામના એક વૃદ્ધે પોતાની રિવોલ્વોરથી ગોળી મારી લીધી હતી

X

સુરત જિલ્લાના પલસાણાના બલેશ્વર ગામની સિમમાં કતારગામના એક વૃદ્ધે પોતાની રિવોલ્વોરથી ગોળી મારી લીધી હતી, ત્યારે લોહીલુહાણ હાલતમાં સાથી મિત્રોએ ઇજાગ્રસ્તને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં હાજર તબીબે વૃદ્ધને મૃત જાહેર કર્યો હતો, ત્યારે હાલ તો પલસાણા પોલીસે વૃદ્ધના આપઘાત મામલે વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ મહાદેવનગર સોસાયટીમાં રહેતા 65 વર્ષીય બાલુ વાળા પલસાણામાં શ્યામ એન્ટરપ્રાઇઝ નામની સિમેન્ટ અને લોખંડની એજન્સી ધરાવે છે. રોજ નિત્યક્રમ મુજબ તેઓ પોતાની કારમાં ધંધા સ્થળે આવી કર્મચારીઓને બહાર નાસ્તો લેવા મોકલ્યા હતા. જોકે, કર્મચારીઓ એજન્સી પર પરત આવતા બાલુ વાળા તેઓને લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા, ત્યારે હેબતાઈ ગયેલા કર્મચારીઓએ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાલુ વાળાને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હાજર તબીબે બાલુ વાળાને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતાં જ પલસાણા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બાલુ વાળાએ પોતાની લાઇસન્સવાળી સર્વિસ રિવોલ્વોરથી ગળાના ભાગે ગોળી મારી આપઘાત કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જોકે, બાલુ વાળાના આપઘાતનું કારણ હજી જાણી શકાયું નથી. આપઘાતને લઈ અનેક પ્રશ્નો ઉભા થયા છે, ત્યારે હાલ તો પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Next Story