/connect-gujarat/media/media_files/2025/05/24/RXMf7KPwQ2TbQPZJd8bO.jpeg)
-
મહાનગરપાલિકાની ટીમ દ્વારા ડિમોલિશન હાથ ધરાયું
-
માથાભારે સજ્જુ કોઠારીની મિલકત પર બુલડોઝર ફર્યું
-
સજ્જુ કોઠારીએ સરકારી જમીન ઉપર કર્યું હતું દબાણ
-
કુખ્યાત પર ખંડણી-મારામારી સહિતના ગુના નોંધાયા
-
અઠવા પોલીસ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કામગીરી કરાય
સુરતમાં માથાભારે સજ્જુ કોઠારીની મિલકત પર બુલડોઝર ફર્યું છે. સજ્જુ કોઠારીએ સરકારી જમીન પર દબાણ કર્યું હતું. કુખ્યાત સજ્જુ પર ખંડણી, મારામારી, ગુજસીટોક સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. અઠવા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મનપાની ટીમે ડિમોલિશન હાથ ધર્યું હતું.
સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં વર્ષોથી ચાલી રહેલા ગેરકાયદે દબાણ વિરુદ્ધ તંત્રએ મોટા પગલાં ભરતાં ગુનાહિત પ્રવૃત્તિ માટે જાણીતા અને લગભગ 30 જેટલા ગુનાઓમાં સામેલ અને ગૂજસીટોકના આરોપી માથાભારે સજ્જુ કોઠારી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. નાનપુરા વિસ્તારમાં ઝમરૂખ ગલીમાં આવેલા સરકારી પ્લોટ પર 250 સ્ક્વેર મીટર વિસ્તારની દબાણ કરાયેલ મિલકતને પાલિકા અને પોલીસે મળીને બુલડોઝર કાર્યવાહી કરીને જમીન ખાલી કરાવી હતી. તંત્રના અહેવાલ પ્રમાણે, સજ્જુ કોઠારીએ સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કરીને અનેક દુકાનો ઉભી કરી હતી.
આ દુકાનોમાંથી ભાડે દુકાન આપીને દર મહિને 7 હજારથી 15 હજાર સુધીની આવક મેળવાતી હતી. દુકાનદારો દ્વારા ભંગાર, ગેરેજ સામાન, ઇતર અને પરફ્યુમ જેવા સામાન વેચવામાં આવતા હતા. જેલમાં રહી પણ તે ભાડું વસૂલતો હતો. પાલિકા અને પોલીસના અધિકારીઓએ સ્થળ પર પહોંચી કામગીરી શરૂ કરતા દુકાનદારોએ દુકાનમાંથી માલ-સામાન કાઢવા દોડાદોડી કરી હતી. ઈતર અને પ્રફ્યુમ, ડબ્બાઓ, ભંગારના પોટલાં, ગેરેજના ટૂલ્સ તેમજ અન્ય સામાન લોકો હડબડીમાં બહાર લાવતા જોવા મળ્યા હતા. જોકે, તંત્રએ લોકોને સમય આપીને દબાણ ખાલી કરાવ્યું હતું.
સજ્જુ કોઠારી નામના આ શખ્સ વિરુદ્ધ અગાઉથી અન્ય ગુનાઓના પણ 30 જેટલા કેસ નોંધાયા છે. હાલમાં પણ તેના વિરુદ્ધ અઠવા પોલીસ મથકમાં બંદૂક બતાવીને ધમકી આપવાનો કેસ નોંધાયો છે. આ કામગીરી પાલિકા અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. સરકારી જમીન પર થયેલા ગેરકાયદે બાંધકામના મુદ્દે હવે અન્ય સંબંધિત સરકારી એજન્સીઓ પણ સજ્જુ કોઠારીની અન્ય મિલકતો અને મિલકતના સ્ત્રોતોની તપાસ કરશે.