Connect Gujarat
સુરત 

સુરત: ગ્રીષ્માના હત્યારાને ફાંસીની સજા થતા હર્ષ સંઘવી પહોંચ્યા દીકરીના પરિવારજનોને મળવા,આંસુ લૂછી સાંત્વના પાઠવી

આજરોજ ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મૃતક ગ્રીષ્મા વેકરિયાના ઘરે પહોંચ્યા હતા અને પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી

X

સુરતના ચકચારી ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં આરોપી ફેનિલને કોર્ટે ફાંસીની સ્જા ફટકારી છે ત્યારે આજરોજ ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મૃતક ગ્રીષ્મા વેકરિયાના ઘરે પહોંચ્યા હતા અને પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી

સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનારા ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં ગુરુવારે કોર્ટે આરોપી ફેનિલ ગોયાણીને ફાંસીની સજા ફટકારી હતી.જેથી ગ્રીષ્માને ન્યાય મળતાં આજે પરિવાર દ્વારા રામધૂન સહિત પોલીસ અધિકારીઓના સન્માનનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં તમામ કાર્યક્રમ પડતાં મૂકીને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતાં. હર્ષ સંઘવીએ ગ્રીષ્માને શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે ગ્રીષ્માના માતા-પિતાને મળીને સાંત્વના આપી હતી.સાથે જ કહ્યું કે, રાજ્યમાં અપરાધીઓ સામે કડક હાથ કામ લેવાશે. ગ્રીષ્માના માતા પિતાને આપેલો વાયદો આજે પૂર્ણ થતાં તેમને સાંત્વના પાઠવી છે.

સાથે જ ભવિષ્યમાં આવું કોઈ સાથે ન બને તે માટે સરકાર પ્રયત્નપૂર્વક કામ કરશે. હર્ષ સંઘવીએ ગ્રીષ્માના પરિવારજનોના આંખના આંસુ લૂછી કહ્યું કે, બહેન દીકરીઓ પર નજર બગાડનાર છોડવામાં આવશે નહીં. બહેન દીકરીઓની રક્ષા કરવા માટે ગુજરાત પોલીસ સક્ષમ છે. કોઇ પણ ફરિયાદ હોય તો સમાજની ચિંતા કર્યા વગર સીધો પોલીસનો સંપર્ક કરજો. કોઈ પણ વાત બહાર નહીં આવે તમામ માહિતી ગુપ્ત રાખીને કાર્યવાહી કરવામાં આવશે. હર્ષ સંઘવીએ કહ્યું કે, મારી તમામ વાલીઓને નમ્ર વિનંતી છે કે, તેઓ ધ્યાન રાખે તેમના દીકરાઓ શું કરે છે. કોની સાથે મળે છે. દિવસભર કઈ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે. તેના ઉપર પણ ધ્યાન આપવાની ખાસ જરૂર છે. ગ્રીષ્મા હત્યા બાદ એસઆઈટીની રચના કરવામાં આવી હતી. આ તપાસમાં લગભગ 50 જેટલા અધિકારી અને કર્મચારીઓ જોડાયા હતાં. આ તમામ કર્મચારીઓએ રાત દિવસ એક કરીને આરોપીને ફાંસીના માચડે પહોંચડવા માટે તપાસ કરી હતી. આ તપાસ કરનાર અધિકારીઓના સન્માન માટે પરિવારે તમામ કર્મચારીઓને બિરદાવતા મોમેન્ટો આપ્યાં હતાં.

Next Story