સુરત : રસોઈ બનાવવાના ઝઘડામાં પતિએ પત્નીને પતાવી દીઘી, હત્યારો પતિ પોલીસ પકડમાં...
શ્રમજીવી પતિએ રસોઈ બનાવવાના ઝઘડામાં પત્નીને ઢીક્કા-મુક્કીનો માર માર્યા બાદ વાંસની લાકડીના સપાટા મારી પતાવી દીઘી
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાંધીએર ગામમાં સામાન્ય બોલાચાલીમાં પતિ-પત્ની વચ્ચે થયેલો ઝઘડો મોતની વાત સુધી પહોચ્યો હતો. જેમાં પત્નીની હત્યા કરી ફરાર થઈ જનાર આરોપી પતિને ઓલપાડ પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધો હતો. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાંધીએર ગામે ખેડૂતના મકાનની બાજુની ઓરડીમાં રહી ખેતમજુરી કામ કરતા શ્રમજીવી પતિએ રસોઈ બનાવવાના ઝઘડામાં પત્નીને ઢીક્કા-મુક્કીનો માર માર્યા બાદ વાંસની લાકડીના સપાટા મારી પતાવી દીઘી હતી. સાંધીએર ગામે કન્યાસી ગામના હળપતિવાસ કોલોનીનો વતની પરેશ રાઠોડ 2 માસથી પોતાના 2 બાળકો અને પત્ની પદમા રાઠોડ સાથે ધના આહિરના મકાનની બાજુમાં તબેલાની પાછળ બનાવેલ ઓરડીમાં રહી ખેતમજુરી કરતો હતો.
ગત મંગળવારની રાત્રે પરેશ રાઠોડે તેની પત્ની સાથે જમવાનું બનાવવા બાબતે ઝઘડો કર્યો હતો. જે ઝઘડો ઉગ્ર બનતા પરેશે તેની પત્ની સાથે ગાળાગાળી કરી ઢીક્કા- પાટુનો માર માર્યો હતો. આ શખ્સ એટલેથી ન અટકતા તેણે નજીકમાં પડેલ વાંસની લાકડીના સપાટા પત્નીના મોઢા તથા શરીરના ભાગે મારતા તેણીને જીવલેણ ઇજાઓ થતાં મોત થયું હતું. ત્યારબાદ પતિ સાંધીએર ગામની ખેત સીમમાં ભાગી સંતાઈ ગયો હતો. બનાવની જાણ થતા જ ઓલપાડ પોલીસ મથક પીઆઇ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમાં પોલીસે તપાસ હાથ ધરતા પત્નીની હત્યા કરી ફરાર થઈ જનાર આરોપી પતિને ગણતરીના કલાકોમાં દબોચી લીધો હતો.