સુરત : કતારગામ-રાંદેરને જોડતા કોઝ-વે પર પાણી ફરી વળતાં બંધ કરાયો, વાહનચાલકો અટવાયા
હવામાન વિભાગની આગાહીના પગલે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. સુરત સહિત ઉપરવાસમાં ભારે વરસાદી માહોલ છવાયો છે, ત્યારે કતારગામ અને રાંદેરને જોડતા કોઝ-વેની સપાટી 6 મીટરને પાર થતા વાહન વ્યવહાર માટે આ કોઝ-વે બંધ કરવામાં આવ્યો છે.
સુરતમાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદ વરસતા સુરતીઓને ગરમી અને બફારાથી રાહત મળી છે. તો બીજી તરફ કતારગામ અને રાંદેરને જોડતો કોઝ-વે ઓવર ફ્લો થતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. ઉપરવાસના વરસાદના કારણે શુક્રવારે કોઝવેની સપાટી 6 મીટરને પાર કરી ગયી હતી. જેથી કોઝ-વેને વાહન વ્યવ્ય્હાર માટે બંધ કરવામાં આવ્યો છે.
ગત શનિવારે કોઝ-વેની સપાટી 6.15 મીટર નોંધાઈ હતી. આ ઉપરાંત ઉકાઈ ડેમમાં પણ પાણીની આવક નોંધાઈ છે. જોકે, ઉકાઈ ડેમની સપાટી શનિવારે 325.95 ફૂટ પહોચી હતી, જ્યારે ડેમમાં પાણીની આવક 27290 કયુસેક અને પાણીની જાવક 1 હજાર કયુસેક નોંધાઈ હતી. ચોમાસા દરમ્યાન બીજી વખત કોઝ-વે ઓવરફલો થતા તેને પુનઃ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, કોઝ-વે બંધ કરી દેવામાં આવતાં અનેક વાહનચાલકોને પણ પરત ફરવાની ફરજ પડી હતી.