-
આર્થિક સંકડામણથી કંટાળી પરિવારનો સામુહિક આપઘાત
-
પતિએ પત્ની-બાળક સાથે લગાવી તાપીમાં મોતની છલાંગ
-
પાણીમાં ડૂબી જતાં ત્રણેય લોકોના મોતથી પંથકમાં ચકચાર
-
ફાયર ફાઇટરો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો
-
પરિવારના 3 સભ્યોના મોત મામલે પોલીસે તપાસ હાથ ધરી
સુરત જિલ્લામાંથી ખૂબ જ દુ:ખદ ઘટના સામે આવી છે. આર્થિક સંકડામણથી કંટાળી એક પરિવારે સામુહિક આપઘાત કરી લીધો છે. હીરા કારખાનામાં કામ કરતા તેમજ છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા પતિએ પત્ની અને પોતાના બાળક સાથે તાપી નદીમાં કૂદી મોતને વ્હાલુ કર્યું હતું.
રાજ્યમાં આર્થિક સંકડામણના કારણે વધુ પરિવાર પરિવારે સામુહિક આપઘાત કરી લીધો છે. મૂળ સૌરાષ્ટના ભાવનગર જીલ્લાના અને સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં પરિવાર સાથે રહેતા વિપુલ પ્રજાપતિ જેઓ હીરા કારખાનામાં તેમજ છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા, ત્યારે ધંધામાં આવેલ મંદી તેમજ શેર બજારમાં કરેલ રોકાણમાં ખોટ જતાં આર્થિક સંકડામણમાં આવી ગયા હતા, અને પત્ની સરિતા પ્રજાપતિને રહેલ માનસિક બીમારીથી કંટાળી આપઘાત કરવાનું નક્કી કર્યું હતું. જેમાં બાજુમાં રહેતા પડોશીઓને બાગ-બગીચામાં ફરવા જઈએ છીએ અને ઘરે પરત આવતા મોડું થશે તેવું કહી નીકળી ગયા હતા. ત્યારબાદ આ પરિવારના સભ્ય પતિ-પત્ની અને બાળકે તાપી નદીમાં ઝંપલાવી મોતને વ્હાલુ કર્યું હતું. જ્કે, એક સ્થાનિકે બનાવની જાણ કરતાં જ ફાયર ફાઇટરો સહિત કામરેજ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોચ્યો હતો.
બનાવના પગલે કામરેજ પોલીસ અને ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી, અને મહિલાનો મૃતદેહ કબજે લઈને તપાસ કરતા બ્રિજ પરથી બાઇક અને ચંપલ મળી આવ્યા હતા, ત્યારે આજરોજ વધુ એક પુરુષ અને સગીરનો મૃતદેહ તાપી નદીમાંથી મળી આવતા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, મૃતકોના નામ વિપુલ પ્રજાપતિ, સરિતા પ્રજાપતિ અને વ્રજ પ્રજાપતિ છે. આ પરિવારના સભ્યોએ આર્થિક સંકડામણના કારણે આપઘાત કર્યો છે. તો બીજી તરફ, એક જ પરિવારના 3 સભ્યોના મોતના પગલે સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે.