સુરત શહેરના સચિન વિસ્તારના પાલી ગામમાં ગતરોજ 5 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં 7 લોકોના કાટમાળ નીચે દબાય જવાથી મોત નીપજ્યાં હતા.
સુરત શહેરના સચિન વિસ્તારના પાલીગામમાં આવેલી 5 માળની બિલ્ડિંગ ગત તા. 6 જુલાઈની બપોરે અઢી વાગ્યાના અરસામાં ધરાશાયી થઈ હતી. આ બિલ્ડિંગ ધરાશાયી થતાં ભૂકંપ આવ્યો હોય તેવો સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. આ દરમિયાન ધરાશાયી બિલ્ડિંગના કાટમાળમાં કેટલાક લોકો ફસાતા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ગણતરીની મિનિટોમાં રેસક્યું ઓપરેશન હાથ ધરાયું હતું. ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ સચિન પોલીસ સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
વર્ષ 2017માં બનેલું બિલ્ડિંગ 2024માં જ તૂટી પડ્યું હતું, ત્યારે જિલ્લા કલેક્ટર, પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળે દોડી ગયા હતા. કાટમાળ નીચે લોકો ફસાયાની આશંકા રાખીને લાઈવ ડિટેક્ટરથી સર્ચ કરાયું હતું. જેમાં કાટમાળ નીચે કેમેરો નાખીને શોધખોળ કરતા મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ વધુ લોકો અંદર હોવાની શંકાએ તંત્રએ રેસક્યુંની કામગીરી તેજ કરી હતી. આ બિલ્ડિંગ જર્જરીત હોવા છતાં 6 મકાન ભાડે આપી દેવાયા હતા. બિલ્ડિંગમાં 5થી 7 પરિવાર રહેતા હતા. દુર્ઘટના બાદ રેસક્યું ટીમ દ્વારા કશિશ શર્મા નામની મહિલાને જીવિત બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યારે રેસક્યું ટીમને અન્ય 7 લોકોમાં હીરામડી કેવટ, અભિષેક, વ્રજેશ ગોડ, શિવપૂજન કેવટ, અનમોલ ચમાર, પરવેજ કેવટ અને લાલજી કેવટ નામના વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા હતા. તો બીજી તરફ, પોલીસે બિલ્ડિંગના માલિક રાજ કાકડિયા, સહિત બિલ્ડર પરિવાર સામે ગુનો દાખલ કર્યો છે, જ્યારે બિલ્ડિંગની દેખરેખ રાખનાર અશ્વિન વેકરિયા વિરુદ્ધ પણ ગુનો નોંધી સમગ્ર મામલાની તપાસને વધુ તેજ કરી છે.