-
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 250થી વધુ લોકોના મોત
-
રાંદેર વિસ્તારમાં રહેતા ડોક્ટર દંપતીનું પણ ઘટનામાં મોત
-
મૃતકના પરિવારને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પાઠવી સાત્વના
-
ડો. હિતેશ શાહે ઘણા વર્ષો સુધી લોકસેવા કરી : હર્ષ સંઘવી
-
મૃતકના પરિવારને શક્તિ આપે તેવી ભગવાનને પ્રાર્થના કરી
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોતને ભેટેલા સુરતના મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનોએ સાત્વના પાઠવી હતી.
ગત તા. 12મી જૂન-2025ના રોજ અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સુરત શહેર અને જિલ્લામાં રહેતા 14 જેટલા લોકોમાંથી અત્યાર સુધીમાં 9 લોકોના DNA મેચ થઇ ગયા બાદ રાંદેર ખાતે રહેતા મૃતક ડોક્ટર દંપતી ડો. હિતેશ શાહ અને પત્ની અમિતા શાહના મૃતદેહ સુરત લવાયા હતા. ત્યારબાદ પરિવારજનો દ્વારા ડોક્ટર દંપતીના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા, ત્યારે આજરોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અને સુરત શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલ રાંદેર ખાતે મૃતક ડોક્ટર દંપતીના નિવાસ્થાને તેમના પરિવારને મળવા પહોંચ્યા હતા, જ્યાં શાહ પરિવારના સભ્યોને સાત્વના પાઠવવામાં આવી હતી.
હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કે, સુરતમાં ગરીબોના મસીહા તરીકે ઓળખાતા ડોક્ટર હિતેશ શાહએ ઘણા વર્ષોથી આ ક્ષેત્રમાં લોકોની સેવા કરી છે. તેઓ ખૂબ સારા સર્જન હતા, અને તે પોતાના ધર્મપત્ની સાથે અમદાવાદથી યુકે તેમની બહેનને મળવા જતા હતા, અને પ્લેન ક્રેશની દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું છે. આ દુખદ ઘટનામાં ભગવાન મૃતક ડોક્ટર દંપતીના પરિવારને શક્તિ આપે તેવી પણ હર્ષ સંઘવીએ પ્રાર્થના કરી હતી.