કેદારનાથ, યમનોત્રીથી લઈ લેહ અને હિમાચલ સુધી ભારે બરફ વર્ષા, ચારધામ યાત્રાળુઓ અધવચ્ચે અટવાયા
જમ્મુ-કાશ્મીર, લેહ-લદ્દાખ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે.
જમ્મુ-કાશ્મીર, લેહ-લદ્દાખ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. કુલ્લુ-મનાલી અને લાહૌલ-સ્પીતિમાં તાપમાન શૂન્યથી નીચે ગયું છે. રોહતાંગની અટલ ટનલ પાસે પણ બરફ પડી રહ્યો છે. મનાલી શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે.ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં હવામાને પલટો લીધો છે. ચારધામ યાત્રા શરૂ થવા જઈ રહી છે, આ દરમિયાન હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. ગંગોત્રી, યમુનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથમાં બરફ પડ્યો છે. જેના કારણે તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો છે અને યાત્રિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે 1 મે સુધી હવામાન આવું જ રહેવાની આગાહી કરી છે. મે મહિનો શરૂ થવાનો છે અને હિમાચલ અને ઉત્તરાખંડની સમગ્ર ખીણ પર્વતો પર હિમવર્ષાના કારણે ઠંડીની ચપેટમાં આવી ગઈ છે. હવામાનમાં આવેલા ફેરફારને ધ્યાનમાં રાખીને બંને રાજ્યોમાં અસરગ્રસ્ત જિલ્લાઓના વહીવટીતંત્રે એલર્ટ જાહેર કર્યું છે અને લોકોને ખરાબ હવામાન દરમિયાન ઊંચાઈવાળા વિસ્તારોમાં ન જવાની અપીલ કરી છે. હિમવર્ષાના કારણે રોહતાંગ અટલ ટનલને પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવી છે. જણાવી દઈએ કે, હિમાચલ પ્રદેશના ઉંચાઈવાળા ગામડાઓમાં આ દિવસોમાં સફરજનનું ફ્લોરિંગ પૂરજોશમાં ચાલી રહ્યું છે. કમોસમી હિમવર્ષાને કારણે સફરજન ઉત્પાદકો નિરાશામાં છે.