ઉત્તરાખંડના નૈનીતાલમાં રવિવારે રાત્રે એક સ્કૂલ બસ 100 મીટર ઊંડી ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે, જ્યારે 24 લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને હલ્દવાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોમાં 5 મહિલા સ્ટાફ અને એક બાળકનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું કે આ અકસ્માત કાલાઢુંગી રોડ પર નાલની પાસે રાત્રે 8 વાગ્યે થયો હતો. હરિયાણાના હિસારના શાહપુર ગામમાં આવેલી ન્યૂ માનવ ઈન્ટરનેશનલ સ્કૂલના 34 લોકો શનિવારે નૈનીતાલ આવ્યા હતા અને રવિવારે ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે બસ કાબુ બહાર જઈને ખીણમાં પડી હતી. સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ, અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ)ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેઓ દોરડાની મદદથી ખીણમાં ઉતર્યા અને ઘાયલોને બચાવ્યા. તેમજ મૃતકોના મૃતદેહને બહાર કાઢ્યા હતા.