વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના એક ગામમાં 3 નરાધમોએ 13 વર્ષની સગીરાને ત્રણ યુવાનો ખેતરમાં ખેંચી ગયાં હતાં અને બેરહેમીપુર્વક તેની સાથે સામુહિક દુષ્કર્મ આચર્યું હોવાની શર્મનાક ઘટના સામે આવી છે.
ગુરૂવારે રાત્રે ડેસરના એક ગામમાં લગ્ન હોવાથી વરઘોડો નીકળ્યો હતો. ધોરણ-8માં અભ્યાસ કરતી ગામની સગીરા વરઘોડામાં સામેલ થઇ હતી અને રાત્રે 9 વાગ્યાના અરસામાં એક મંદિર પાસે વરઘોડાએ રોકાણ કર્યું હતું. જેથી સગીરા મંદિરના ઓટલા પર બેઠી હતી. તે સમયે ગામનો ચિરાગ માછી તેની બાજુમાં આવીને બેઠો હતો અને ચાલ મારી સાથે તેમ કહી તેનો હાથ પકડી મંદિરના પાછળના ભાગે અંધારામાં લઇ ગયો હતો. આ દરમિયાન ગામના અન્ય બે યુવાનો ભુપેન્દ્ર માછી અને પરેશ ઉર્ફે બટાકી માછી ત્યાં આવી ગયાં હતાં. ત્રણે ભુખ્યાં વરૂની માફક સગીરા પર તુટી પડયાં હતાં. બેન્ડવાજાના અવાજ નીચે સગીરાની ચીસો દબાઇ ગઇ હતી. ત્રણે યુવાનોએ બેરહેમીપુર્વક સગીરાને પીખી નાંખી હતી. નાના છોકરાઓની ચહલપહલ થતાં બુમાબુમ થતાં ઘટના સ્થળેથી ચિરાગ, ભુપેન્દ્ર અને પરેશ ઉર્ફે બટાકી ભાગી છૂટ્યા હતાં. સગીરાને ગંભીર હાલતમાં તેના ફુઆ ઘરે લાવ્યાં હતાં. સગીરાએ નામો જણાવતાં આરોપીઓના ઘરે તપાસ કરી હતી, પરંતુ, ત્રણેય હવસખોર ભાગી છૂટયા હતા. સગીરાના પિતાએ 181 ઉપર ફોન કરી વિગતે જાણ કરી હતી. ડેસર પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને રાત્રિ દરમિયાન એક આરોપી પરેશ ઉર્ફે બટાકીને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય બે આરોપીઓની શોધખોળ પોલીસ કરી રહી છે. ગામલોકોએ આરોપીઓ ઉપર ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે અને આવા ગુનાહિત કૃત્ય આચરનારને સખતમા સખત સજા થાય તેવી ગ્રામજનો માગણી કરી રહ્યા છે.