વડોદરા : સંભવિત કોરોના વાયરસના જેએન-1 વેરિએન્ટનો કેસ નોંધાયો, આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં...
વડોદરાની સયાજી હોસ્પિટલમાં સંભવિત કોરોના વાયરસનો નવો જેએન-1 વેરિએન્ટનો કેસ સામે આવતા તંત્રએ અલાયદો વોર્ડ તૈયાર કર્યો
સંભવિત કોરોના વાયરસનો નવો વેરિએન્ટ
જેએન-1 વેરિએન્ટનો કેસ નોંધાતા ખળભળાટ
મનપાનું આરોગ્ય વિભાગ બન્યું વધુ સાબદું
સયાજી હોસ્પિટલમાં વિશેષ સુવિધા ઊભી કરી
ઓક્સિજન સહિતના 26 બેડ તૈયાર કરાયા
વડોદરા શહેરમાં સંભવિત કોરોના વાયરસનો નવો જેએન-1 વેરિએન્ટનો કેસ સામે આવતા મનપાનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં સંભવિત કોરોના વાયરસનો નવો જેએન-1 વેરિએન્ટનો કેસ સામે આવતા તંત્રએ અલાયદો વોર્ડ તૈયાર કર્યો છે. જેમાં ઓક્સિજન સહિતની સુવિધા સાથેના 26 બેડ તૈયાર કર્યા છે, જ્યારે વધુમાં હોસ્પિટલમાં 40 હજાર લિટરના 2 ઓક્સિજન ટેન્ક પણ તૈયાર રાખવામાં આવ્યા છે. જો, કોરોના કેસ વધે તો બેડની સંખ્યા વધારાશે તેવું પણ આગવું અયોજન કરવામાં આવનાર છે.
તદુપરાંત ઓક્સિજનની વધુ જરૂરિયાત ઉભી થશે તો પ્લાન્ટ શરૂ કરાશે તેવી પણ તૈયારીઓ કરવામાં આવનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં નવા 2 કોરોના કેસનો મામલો સામે આવ્યો છે, જેથી આરોગ્ય વિભાગ સતર્ક થયું છે, ત્યારે મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પીટલ એવી વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલના RMO ડો. દેવર્ષિ હેલૈયાનું નિવેદન પણ સામે આવ્યું છે. RMOએ જણાવ્યું હતું કે, કોરોનાની પહેલી અને બીજી વેવથી ઘણું શીખ્યા છે. અહીંના તબીબો પાસે પૂરતો અનુભવ છે. હોસ્પીટલમાં તાત્કાલિક જોઈએ તેટલા બેડ ઉભા કરી શકાય તેમ છે, જ્યારે સંભવિત ખતરાને જોતા દર મહિને રીવ્યુ મિટિંગ પણ રાખવામાં આવી રહી હોવાની માહિતી આપવામાં આવી હતી.