વડોદરામાં મોટી દુર્ઘટના : હરણીના મોટનાથ તળાવમાં બોટ ઊંધી વળી જતાં પાણીમાં ડૂબેલા 23 પૈકી 12 બાળકોના મોત..!
વડોદરા શહેરના હરણી વિસ્તાર સ્થિત મોટનાથ તળાવમાં બોટિંગ દરમિયાન ન્યૂ સનરાઈઝ સ્કૂલના સવાર બાળકોની બોટ પલટી મારી જતા બાળકો ડૂબ્યા હતા.
વડોદરા શહેરના હરણી વિસ્તાર સ્થિત મોટનાથ તળાવમાં બોટિંગ દરમિયાન ન્યૂ સનરાઈઝ સ્કૂલના સવાર બાળકોની બોટ પલટી મારી જતા બાળકો ડૂબ્યા હતા. જેમાં 10થી વધુ બાળકોના મોત થયા છે, જ્યારે અન્ય બાળકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના હરણી ખાતે આવેલા મોટનાથ તળાવમાં મોટી દુર્ઘટના બની છે. વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો મોટનાથ તળાવની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ બાળકોને બોટમાં બેસાડી તળાવનો રાઉન્ડ મારવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા. જોકે, ફાયર વિભાગને ઘટનાની તાત્કાલિક જાણ કરવામાં આવતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. ત્યારબાદ ફાયર વિભાગ દ્વારા બાળકોનું રેસ્ક્યું કરવામાં આવી રહ્યું છે, ત્યારે આ ઘટનામાં 10થી વધુ બાળકોના મોત થયા છે, જ્યારે અન્ય બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કરુણાંતિકા સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળાં અને બાળકોના પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળ્યું હતું. તો બીજી તરફ, પોલીસ વિભાગ દ્વારા પણ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.