/connect-gujarat/media/post_banners/ad79e601236298c7b9950068786e93b96b99ad9d8f16c2d010544fe9bf7790e1.jpg)
વડોદરા શહેરમાં સરકારી આવાસો લાભાર્થીઓ દ્વારા ભાડે અથવા વેચાણ કર્યા હોવાની ફરિયાદો કોર્પોરેશનને મળતા તંત્ર એક્શનમાં આવ્યું હતું.કિશનવાડી વુડાના આવાસોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરી ગેરકાયદેસર વસતા 30 લોકોને નોટિસ પાઠવાય હતી.
વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી સરકારી આવાસો ભાડે અથવા વેચાણ થતા હોવાની ફરિયાદો ઉઠી છે. પરિણામે આજે મેયર કેયુર રોકડિયા, મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલ, સ્થાયી સમિતિ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ તથા કોર્પોરેશનના અધિકારી કર્મચારીઓ કિશનવાડી ખાતેની ગરીબ આવાસ યોજનામાં મૂળ લાભાર્થીઓ રહે છે કે, નહીં તે બાબતે ચકાસણી અર્થે આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. મેયર સહિતના કાફલાએ ઓચિંતુ ચેકિંગ હાથ ધરતા ગેરકાયદેસર વસતા લોકોમાં સોપો પડી ગયો હતો.
દરેક બ્લોકમાંથી 2થી 3 લોકો ગેરકાયદેસર વસતા મળી આવ્યા છે. જેથી તેમને સ્થળ પર જ નોટિસની બજવણી કરી સાંજ સુધીમાં આવાસો ખાલી કરવા સૂચના આપવામાં આવી હતી, જ્યારે આ અંગે જવાબદાર લાભાર્થીઓ સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે. જોકે, કોર્પોરેશન તથા સરકાર તરફથી ગરીબ આવાસોની ફાળવણી બાદ આ પ્રકારની અનેક ફરિયાદો અમને મળી છે. આ પ્રકારની ગેરરીતિના કારણે ઝૂંપડપટ્ટી યથાવત રહે છે. જેથી યાદી સાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જોકે, હવે લાભાર્થી જ તેનો ઉપયોગ કરે તે દિશામાં તંત્ર સતર્ક બન્યુ છે.